નવી દિલ્હી: 16મી લોકસભાના અંતિમ ચોમાસુ સત્રના પહેલાજ દિવસે વિપક્ષ તરફથી કેન્દ્રની મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે અને લોકસભા સ્પીકરે તેને સ્વીકારી લીધો છે. જેના પર સંસદમાં શુક્રવારે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા અને મતદાન થશે. સરકાર તરફથી જીતનો દાવો કરવામાં આવી રહ્યો છે જ્યારે વિપક્ષને પણ વિશ્વાસ છે કે અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા સરકારને સંસદમાં બેનકાબ કરવાની તક મળશે. યૂપીએની ચેરપર્સન સોનિયા ગાંધીએ દાવો કર્યો છે કે તેમની પાસે પૂરતું સંખ્યાબળ છે.


અવિશ્વાસ પ્રસ્તાવ પર તમામ પાર્ટીઓને બોલવાનો સમય નક્કી કરી દેવામાં આવ્યો છે. સંખ્યા પ્રમાણે પાર્ટીઓનો સમય નક્કી કરવામાં આવ્યો છે. ભાજપને સૌથી વધારે ત્રણ કલાક અને 33 મિનિટ બોલવાનો સમય મળ્યો છે. જ્યારે કૉંગ્રેસને 38 મીનિટનો સમય આપવામાં આવ્યો છે. તેની સાથે AIADMKને 29 અને ટીએમસીને 27 મિનિટનો સમય આપવામાં આવ્યો છે.

સૂત્રો અનુસાર કૉંગ્રેસ તરફથી રાહુલ ગાંધી પણ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરશે. શુક્રવારે 11 વાગે લોકસભાની કાર્યવાહી શરૂ થશે. ટીડીપીના સાંસદ જયદેવ ગલ્લા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાની શરૂઆત કરશે. ટીડીપી રજૂ કરેલો અવિશ્વાસનો પ્રસ્તાવ સ્વીકાર કરાયો છે, ટીડીપીએ આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યના દરજ્જાની માંગને લઈને એનડીએનો સાથ છોડી દીધો હતો.મહત્વની વાત એ પણ છે કે આવતીકાલે પ્રશ્નકાળ અને લંચ નહીં થાય. અવિશ્વાસ પર ચર્ચા માટે સાત કલાકનો સયમ નક્કી કરવામાં આવ્યો છે. સરકાર તરફથી પાંચ દિગ્ગજ નેતા અને મંત્રી ચર્ચામાં ભાગ લેશે.

શિવસેનાએ હવે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે કે, સરકારના પક્ષમાં મતદાન કરશે. તેની સાથે તમિલનાડુની આઈએડીએમકે પણ સરકારને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. શિવસેનાના સાંસદમાં 18 અને એઆઈએડીએમકે ના 37 સદસ્ય છે.