નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનની શરૂઆત કરી. આ યોજના 6 રાજ્યોના 116 જિલ્લામાં ચાલશે. આ યોજનાને દેશના એ રાજ્યોના એ જિલ્લાઓમાં ચલાવાશે જ્યાં, પ્રવાસી મજૂરોની સંખ્યા 25 હજારથી વધુ છે. આ યોજના મુજબ મજૂરોને 125 દિવસનુ કામ મળશે. મજૂરોને રોજગાર આપવા માટે 50 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.


કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા પ્રધાનમંત્રીએ લદાખમાં શહીદ થયેલા જવાનોના પરાક્રમની ચર્ચા કરતા કહ્યું કે લદાખમાં આપણા વીરોએ જે બલિદાન આપ્યું છે, હુ ગૌરવ સાથે એ વાતનો ઉલ્લેખ કરવા માંગુ છુ કે આ પરાક્રમ બિહાર રેજીમેન્ટનું છે, દરેક બિહારીને તેનો ગર્વ છે. જે સૈનિકોએ પોતાનું બલિદાન આપ્યું છે તેમને હુ શ્રદ્ધાંજલિ આપુ છું.



પીએમ મોદીએ રીમોટના માધ્યમથી ગરીબ કલ્યાણ યોજનાનો શુભારંભ કર્યો. બિહારના ખગડીયા જિલ્લાના તેલિહાર ગામથી યોજનાની શરૂઆત થઈ હતી. અગાઉ, તેમણે તમામ લોકો સાથે વાતચીત કરી અને તેમના કાર્ય વિશે જાણ્યું. પ્રધાનમંત્રીએ તેમની ભાવિ યોજનાઓ વિશે પણ પૂછપરછ કરી. આ સાથે તેમણે દરેકને દરેક શક્ય સહાય આપવાની ખાતરી પણ આપી હતી.