કોરોના વાયરસ: PM મોદીએ કહ્યું- અફવાઓ પર ધ્યાન ન આપો, હાથ મિલાવાની જગ્યાએ નમસ્તેની આદત પાડો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 07 Mar 2020 03:16 PM (IST)
કોરોના વાયરસને લઈ પીએમ મોદી કહ્યું કે, જે લોકોની નમસ્તે કરવાની ટેવ છૂટી ગઈ છે, તેઓ ફરી આ આદત પાડી લે. આજે કોરોના વાયરસના ડરથી સમગ્ર દુનિયા હાથ મિલાવવાનું છોડીને નમસ્તે કરી રહી છે.
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફ્રેસિન્ગ મારફતે દેશના અલગ અલગ શહેરમાં સ્થિત જનઔષધી યોજનાના લાભાર્થીઓ સાથે વાત કરતા કહ્યું કે, જે લોકોની નમસ્તે કરવાની ટેવ છૂટી ગઈ છે, તેઓ ફરી આ આદત પાડી લે. આજે કોરોના વાયરસના ડરથી સમગ્ર દુનિયા હાથ મિલાવવાનું છોડીને નમસ્તે કરી રહી છે. આ સાથે પીએમ મોદીએ કહ્યું કે કોરોના વાયરસની અફવાઓ પર ધ્યાન ન આપો. કોરોના વાયરસને લઈ પીએમ મોદી કહ્યું કે, કોરોના વાયરસની કોઈ પણ પ્રકારની અફવાઓથી દૂર રહો. જો તમને કોઈ પણ પ્રકારની શંકા છે તો સીધા ડૉક્ટર સાથે સંપર્ક કરો. ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોનાના 31 મામલા સામે આવ્યા છે. દેશમાં અનેક મોટા શહેરોમાં માસ્ક અને સેનેટાઈઝરની અછતના અહેવાલ છે ત્યારે કોરોનાને લઈને સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની અફવાઓ પણ ફેલાઈ રહી છે. પ્રધાનમંત્રી જનઔષધી યોજનાઓના લાભાર્થીઓ સાથે વાત કરતા પીએમ મોદી કહ્યું હતું કે, યોજનાની સફળતાની ઉજવણી કરવાનો દિવસ નથી પરંતુ આ તે પરિવારો સાથે જોડાવાનો દિવસ છે જેમને આ યોજનાથી ઘણો લાભ થયો છે. મોદીએ કહ્યું, જનઔષધી યોજનાથી હજારો રૂપિયાની દવા સસ્તા ભાવે મળી રહી છે. વીડિયો કોન્ફ્રેસિન્ગ મારફતે સંવાદ કરતી વખતે મોદી એક લાભાર્થીની કહાની સાંભળીને ભાવુક થઈ ગયા હતા. આ ઉપરાંત પીએમ મોદીએ કહ્યું કે, જેનરિક દવાઓને લઈ ઘણી અફવાઓ પણ ફેલાવવામાં આવે છે. તેઓએ લાભાર્થીઓને અપીલ કરી હતી કે આ અંગે અન્ય લોકો સાથે પણ વાત કરો જેનાથી વધુમાં વધુ લોકો આ યોજનાનો લાભ ઉઠાવી શકે. કોરોના વાયરસ: વિશ્વના 90 દેશોમાં ખતરનાક વાયરસની અસર