નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રની આજથી શરૂઆત થઈ છે. આ વખતનું સત્ર ઐતિહાસિક છે. રાજ્યસભામાં સોમવારે 250મા સત્રની શરૂઆત થઈ હતી. આ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગૃહને સંબોધન કર્યું. જેમાં તેમણે કહ્યું, 250 સત્રોથી જે યાત્રા ચાલી આવે છે તેને હું નમન કરું છું.


આ ઉપરાંત તેમણે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ની પ્રશંસા કરી. મોદીએ કહ્યું, ખલેલ પાડવાના બદલ સંવાદનો રસ્તો પસંદ કરો. એનસીપી-બીજેડીની વિશેષતા છે કે બંનેના સભ્યોએ વેલમાં નહીં જવાનું નક્કી કર્યું છે. આપણે તમામ રાજકીય પક્ષોએ શીખવું જોઈએ કે આ નિયમનું પાલન કરવા છતાં તેના વિકાસમાં કોઈ કમી આવી નથી. અમારી પાર્ટીએ પણ આ શીખવું જોઈએ. આપણે આ પાર્ટીઓનો આભાર માનવો જોઈએ. મહારાષ્ટ્રમાં સરકાર રચવાને લઈ જે કવાયત ચાલી રહી છે તેની વચ્ચે પીએમ મોદી દ્વારા એનસીપીની પ્રશંસા કરવી એક સંદેશ આપે છે.


છેલ્લા 5 વર્ષમાં જોવામાં આવે તો આ સદને ત્રણ તલાકનું બિલ પાસ કરાવવાથી લઈને મહિલા સશક્તિતરણનું મોટું કામ કર્યું છે. આ સદને સામાન્ય વર્ગના ગરીબો ટે 10 ટકા અનામતની જોગવાઈ કરી પરંતુ કોઈ વિરોધભાવ પેદા ન થયો. તમામ જગ્યાએ સહયોગનો ભાવ બન્યો.


પીએમ મોદીએ કહ્યું, આ સદને જીએસટીના રૂપમાં એક રાષ્ટ્ર-એક કરની સહમતિ બનાવીને દેશને દિશા આપવાનું કામ કર્યું છે. દેશની એકતા અને અખંડતા માટે કલમ 370 અને 35એ હટાવવાની શરૂઆત પહેલા આ ગૃહમાં થઈ, જે બાદ લોકસભામાં થઈ.