નવી દિલ્હી: દિલ્હીની સરહદ પર ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ આવતીકાલે (ગુરુવારે) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરશે. ખેડૂત સંગઠન અને સરકારની બેઠક પહેલા આ મુલાકાત રહેશે.


પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ સતત કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. તેમણે હાલમાં જ કૃષિ કાયદાના વિરુદ્ધ ખેડૂતના સંઘર્ષને ન્યાયપૂર્ણ ગણાવતા કેન્દ્ર સરકારને સવાલ કર્યો હતો કે, તે ખેડૂતોનો અવાજ શા માટે નથી સાંભળી રહી અને આ મુદ્દે પોતાનું આવુ વલણ કેમ ?

અમરિંદર સિંહે કહ્યું કે, તેમની સરકાર આ કાળા કાયદાના વિરોધમાં ખેડૂતો સાથે છે. મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, “જનતાની વાત સાંભળવી સરકારનું કામ છે. જો અનેક રાજ્યોના ખેડૂતો આ પ્રદર્શનમાં સામેલ થઈ રહ્યાં છે તો તેનો મતલબ એ છે કે ખેડૂતો વાસ્તવમાં દુખી છે. ”


ઉલ્લેખીય છે કે, કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો દિલ્હીની સરહદ પર પ્રદર્શન કરી રહ્યા છે. સરકાર સાથે ગઈ કાલે ચાલેલી ત્રણ કલાકની વાતચીત બાદ ખેડૂતોએ આજે ફરી સ્પષ્ટ કરી દીધું છે કે, ત્રણેય કૃષિ કાયદા પરત લેવામાં આવે. દિલ્હી બોર્ડર પર ખેડૂત સંગઠનોએ પત્રકાર પરિષદ કરીને પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. ખડૂતોનું કહેવું છે કે, સરકાર લાંબી ચર્ચા કરીને રોકવાનો પ્રયાસ કરી રહી છે. તેની સાથે જ ખેડૂતોએ એકવાર ફરી કહ્યું કે, નાની કમિટીથી કામ નહીં ચાલે.



ખેડૂત નેતાએ કહ્યું- કેન્દ્ર સાથે વાતચીત માટે ખેડૂતોની નાની કમિટી નહીં બને. અમે સાત કે દસ પેજનો ડ્રાફ્ટ સરકારને મોકલીશું. સરકાર નહીં માને તો આંદોલન ચાલુ રહેશે. ખેડૂતોની માંગ છે કે, સંસદનું વિશેષ સત્ર બોલાવીને કૃષિ કાયદો રદ કરવામાં આવે. ખેડૂત નેતાએ કહ્યું કે, ‘જો કેન્દ્ર સરકાર અમારી માંગ જલ્દી નહીં માને તો ખેડૂતો સખ્ત પગલા ઉઠાવી શકે છે. બગાવત જેવી સ્થિતિ પેદા ન થાય તે માટે સરકાર ખેડૂતોની માંગને જલ્દી પૂરી કરે.’