ચંદીગઢ:  પંજાબના ભાવિ મુખ્યમંત્રી ભગવંત માન(Bhagwant mann) રવિવારે રાત્રે દિલ્હી જવા રવાના થયા છે. તેઓ સોમવારે સંસદ સભ્યના પદ પરથી રાજીનામું આપશે. ભગવંત માન 16 માર્ચે પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આ પહેલા રવિવારે તેમણે અરવિંદ કેજરીવાલ(Arvind kejriwal) સાથે અમૃતસરમાં રોડ શો કર્યો હતો અને બહુમતી આપવા બદલ જનતાનો આભાર માન્યો હતો. ભગવંત માન શહીદ ભગત સિંહના ગામ જઈને મુખ્યમંત્રી પદના શપથ લેશે. તેઓ ગત લોકસભા ચૂંટણીમાં પંજાબ(Panjab)ની સંગરુર સીટ પરથી સાંસદની ચૂંટણી જીત્યા હતા. સીએમ બનતા પહેલા તેમણે સાંસદ પદ પરથી રાજીનામું આપવું પડશે.


અગાઉ ચૂંટણી પરિણામો બાદ ભગવંત માનને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટી(AAP)એ તેમને રાજ્યમાં મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કર્યો હતો અને તેમના નેતૃત્વમાં પાર્ટીએ ઐતિહાસિક પ્રદર્શન કર્યું હતું અને 92 બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસ પાર્ટીને રાજ્યમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસ અને અકાલી દળના તમામ દિગ્ગજોને વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે.


આ અગાઉ, ભગવંત માન શનિવારે રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતને મળ્યા હતા અને રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. રાજ્યપાલને મળ્યા બાદ તેમણે ધારાસભ્યોના સમર્થનનો પત્ર રાજ્યપાલને સોંપ્યો હતો, જેને રાજ્યપાલે સ્વીકારી લીધો છે. ભગવંત માને કહ્યું, "અમારો પ્રયાસ રહેશે કે લોકોના કામ તેમના ઘરે થાય. જ્યારે અમે વોટ માંગવા તેમના ઘરે જઈએ છીએ, તો પછી અમે તેમને ચંદીગઢ કેમ બોલાવીએ છીએ. પંજાબ સરકાર લોકોના ઘર સુધી પહોંચશે."


ભગવંત માને ગુરુવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાને શપથ સમારોહમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું હતું. ભગવંત માને  કહ્યું હતું કે દિલ્હીના ગવર્નન્સ મોડલને પંજાબમાં લાગુ કરવું પડશે. આમ આદમી પાર્ટીની સરકાર સામાન્ય લોકોમાંથી ચાલશે.