પંજાબ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની બમ્પર જીત બાદ પાર્ટીના સીએમ પદનો ચહેરો બનેલા ભગવંત માનને AAPના ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ધારાસભ્ય દળની બેઠક દરમિયાન ભગવંત માને કહ્યું કે હું તમને બધાને (નવા ચૂંટાયેલા ધારાસભ્યોને) અહંકારી ન બનવાની અપીલ કરું છું. જેમણે અમને વોટ નથી આપ્યા તેમને પણ આપણે માન આપવું પડશે. તમામ ધારાસભ્યોએ તે વિસ્તારોમાં કામ કરવું જોઈએ જ્યાંથી તેઓ ચૂંટાયા છે અને માત્ર ચંદીગઢમાં જ નહીં રહે.


ભગવંત માને કહ્યું કે તમે પંજાબીઓના ધારાસભ્ય છો, પંજાબીઓની સરકાર બની છે. આજે હું જ્યારે દિલ્હી જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં હાર પહેરાવતા એક માણસે કહ્યું કે માન સાહેબ અમને કોઈએ માન આપ્યું નથી.  આપણે ત્યાં જઈ કામ કરવાના છે જ્યાં જઈને મત માંગ્યા હતા,  જીતીને એમ નથી કહેવાનું કે  ચંદીગઢ આવો.


17 મંત્રી બની શકે છે


ભગવંત માને કહ્યું કે કોઈ ભેદભાવ ન હોવો જોઈએ, આ અરવિંદ કેજરીવાલનો પણ સંદેશ છે. શાળા, હોસ્પિટલ, વીજળી, ઉદ્યોગો, અમે 17 મંત્રી બનાવી શકીએ છીએ. બાકીના 75 જેમને મંત્રી બનાવાશે નહી  તેઓએ ગુસ્સે થવું જોઈએ નહીં, દરેકે મંત્રીનું કામ કરવાનું છે. ભગવંત માને કહ્યું કે આજે તમામ મોટા ચહેરાઓ હારી ગયા છે. તમે મોટા માર્જિન સાથે આવ્યા છો. સીએમ અરવિંદ કેજરીવાલે લેખિતમાં આ માહિતી આપી હતી. દિલ્હીની યોજનાઓ આપણા માટે માર્ગદર્શક બની શકે છે. આપણે જ્યાંથી સારી બાબતો શીખવાની જરૂર છે ત્યાંથી શીખવું પડશે. પબ્લિક પણ ઘણા આઈડિયા આપે છે, તેનો અમલ કરશે. અમારે માત્ર સરકાર ચલાવીને દેખાડવાનું છે. ઈન્કલાબ ઝિંદાબાદ.


પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP)ની શાનદાર જીત બાદ હવે ભગવંત માન 16 માર્ચે મુખ્યમંત્રી પદના શપથ લેશે. અગાઉ 13 માર્ચે AAPના વડા અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન અમૃતસરમાં રોડ શો કરશે. માન હાલમાં દિલ્હીમાં છે અને આજે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. આ પ્રસંગે AAP નેતા રાઘવ ચઢ્ઢા પણ હાજર હતા.


AAPએ રાજ્યની 117 વિધાનસભા બેઠકોમાંથી 92 બેઠકો જીતી છે. માન ધુરી બેઠક પરથી 58,206 મતોના જંગી અંતરથી જીત્યા છે. રાષ્ટ્રીય રાજધાની માટે રવાના થતા પહેલા સંગરુરમાં પત્રકારો સાથે વાત કરતા માને કહ્યું હતું કે તેઓ કેજરીવાલને મળીને પંજાબ ચૂંટણીમાં પાર્ટીની જીત પર અભિનંદન આપશે.


માને કહ્યું કે નવાંશહર જિલ્લામાં મહાન સ્વાતંત્ર્ય સેનાની ભગત સિંહના મૂળ ગામ ખટકર કલાનમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે. પાર્ટીની શાનદાર ચૂંટણી જીત પર, માનએ કહ્યું, "લોકોએ ઘમંડી લોકોને હરાવ્યા અને તેઓએ સામાન્ય લોકોને વિજયી બનાવ્યા."