નવી દિલ્લી: કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની તબિયત પુછવા દિલ્લીની એમ્સ હોસ્પિટલ પહોંચ્યા હતા. પૂર્વ પ્રધાનમંત્રીને આજે બપોરે રૂટીન ચેકઅપ માટે એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. અટલ બિહારી વાજપેયીની તપાસ માટે ડૉક્ટરોની એક ખાસ પેનલ બનાવવામાં આવી છે. એમ્સના સુત્રોની જાણકારી મુજબ તેમની તબિયત સ્થિર છે પરંતુ તેમને આગામી બે દિવસ સુધી એમ્સમાં રાખવામાં આવશે.


આ પહેલા ખબર સામે આવી હતી કે તેમને રાત્રે 8 વાગ્યા સુધીમાં ડિસ્ચાર્જ કરવામાં આવશે. વાજપેયીનું રૂટીન ચેકઅપ અને મેડિકલ તપાસ એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાની દેખરેખમાં કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા સાત વર્ષથી અટલ બિહારી વાજપેયીનું રૂટિન ચેકઅપ એમ્સમાં થાય છે. પૂર્વ પીએમ વાજપેયી વર્ષ 2009થી બીમાર છે અને તેમને હલન-ચલન માટે વ્હીલચેયરનો ઉપયોગ કરવો પડે છે.

નોંધનીય છે કે 93 વર્ષીય વાજપેયી ડિમેશિયા નામની બિમારીથી પીડિત છે. તેઓ 2009થી વ્હીલચેર પર છે. કેટલાક સમય અગાઉ ભારત સરકારે તેમને ભારત રત્નથી સન્માનિત કર્યા હતા. વાજપેયી 1991,1996,1998,1999 અને 2004માં લખનઉથી લોકસભા ચૂંટણી જીત્યા હતા. તેઓ વડાપ્રધાન તરીકેનો કાર્યકાળ પૂર્ણ કરનારા પ્રથમ અને અત્યાર સુધીના એકમાત્ર બિન કોગ્રેસી નેતા છે.25 ડિસેમ્બર 1924માં જન્મેલા વાજપેયી ભારત છોડો આંદોલન મારફતે 1942માં ભારતીય રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો.