Rahul Gandhi In Manipur:  હિંસાગ્રસ્ત રાજ્ય મણિપુરની બે દિવસની મુલાકાતે પહોંચેલા રાહુલ ગાંધીએ આજે ​​પીડિતોને મળ્યા બાદ રાજ્યના લોકોને સંદેશ આપ્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હિંસાથી કોઈ પણ પ્રકારનો ઉકેલ મળશે નહી, માત્ર શાંતિ જ સમાધાન છે.






મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મણિપુરને શાંતિની જરૂર છે. હું રાહત શિબિરોમાં ગયો અને દરેક સમુદાયના લોકોને મળ્યો હતો. રાહત શિબિરોમાં દવાઓ અને ખોરાકની અછત છે, જેના પર સરકારે ધ્યાન આપવું જોઈએ. હું મણિપુરના દરેક વ્યક્તિને શાંતિ જાળવવાની અપીલ કરું છું. હું અહીં હાજર છું અને શાંતિ માટે મારાથી બનતું બધું કરીશ.


મોઇરાંગ ખાતે રાહત શિબિરની મુલાકાત લીધી હતી






મણિપુરમાં પોતાના પ્રવાસના બીજા દિવસે રાહુલ ગાંધીએ બિષ્ણુપુર જિલ્લાના મોઇરાંગ શહેરમાં બે રાહત શિબિરની મુલાકાત લીધી હતી. આ પ્રવાસમાં તેઓ હિંસાથી વિસ્થાપિત થયેલા પીડિતોને મળ્યા હતા. કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી સવારે લગભગ 9.30 વાગ્યે હેલિકોપ્ટર દ્વારા મોઇરાંગ પહોંચ્યા અને અહીં અસરગ્રસ્ત લોકોને મળ્યા અને તેમની ફરિયાદો સાંભળી હતી. રાહુલ ગાંધીની સાથે મણિપુરના પૂર્વ મુખ્યમંત્રી ઓકરામ ઈબોબી સિંહ, પાર્ટીના મહાસચિવ (સંગઠન) કે.સી. વેણુગોપાલ, પીસીસી પ્રમુખ કીશમ મેઘચંદ્ર સિંહ અને પૂર્વ સાંસદ અજય કુમાર હતા.






મોઇરાંગ એક ઐતિહાસિક શહેર છે જ્યાં આઝાદ હિંદ ફોજ એ 1944માં ભારતનો ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો હતો. તેમના પ્રવાસના પ્રથમ દિવસે રાહુલ ગાંધીએ રમખાણોથી સૌથી વધુ પ્રભાવિત શહેરમાંના એક ચુરાચાંદપુરમાં રાહત શિબિરની મુલાકાત લીધી હતી.