નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી અને LJP નેતા રામવિલાસ પાસવાનનું ગુરુવારે નિધન થઈ ગયું છે. 74 વર્ષના પાસવાન છેલ્લા લાંબા સમયથી બિમાર હતા, તેઓએ દિલ્હીની એસ્કોર્ટ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેમના પુત્ર ચિરાગ પાસવાને ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી. રામવિલાસ પાસવાન ખાદ્ય અને સાર્વજનિક વિત્તરણ મામલાના મંત્રી હતા.


રામવિલાસ પાસવાન દેશનૌ સૌથી અનુભવી નેતાઓમાંના એક હતા. પાંચ દાયકાથી પણ વધુ લાંબી રાજકીય સફરમાં તેઓ 8 વખત લોકસભા અને બે વખત રાજ્યસભા સાંસદ રહી ચૂક્યા છે. છેલ્લા બે દાયકામાં લગભગ તમામ કેન્દ્ર સરકારમાં સામેલ રહ્યાં અને મંત્રી બન્યા હતા. પાસવાસ પાસે 6 વડાપ્રધાન સાથે કામ કરવાનો અનોખો રેકોર્ડ છે. તેઓ  વિશ્વનાથ પ્રતાપસિંહ, એચડી દેવે ગૌડા,આઈકે ગુજરાલ, મનમોહનસિંહ, વાજપેયી અને મોદી સરકારમાં મંત્રી રહી ચૂક્યા હતા.

લોક જનશક્તિ પાર્ટીના સંસ્થાપક રામવિલાસ પાસવાનો જન્મ બિહારના ખગડિયાના શાહરબન્નીમાં 5 જુલાઈ, 1946માં થયો હતો. તેઓએ બુંદેલખંડ યુનિવર્સિટી ઝાંસીથી MA અને પટના યુનિવર્સિટીમાંથી LLB કર્યું હતું.  તેઓએ 1969માં રાજકારણમાં પગ મુક્યો હતો. આ પહેલા તેમની 1969માં જ બિહાર પોલીસના ડીએસપી તરીકે પસંદગી થઈ હતી પરંતુ તેમની કિસ્મતમાં રાજકરણ લખ્યું હતું. રામવિલાસ પાસવાને વર્ષ 2000માં લોક જનશક્તિ પાર્ટીની સ્થાપના કરી હતી.

રામવિલાસ પાસવાન 1969માં પ્રથમવાર બિહારથી રાજ્યસભા ચૂંટણીમાં સંયુક્ત સોશિયલિસ્ટ પાર્ટીના ઉમેદવાર તરીકે વિજેતા બન્યા હતા અને વિધાનસભા સભ્ય બન્યા હતા. ઈમરજન્સી દરમિયાન જેલમાં રહ્યા અને ઈમરજન્સી પૂરી થયા બાદ તેઓ જનતા દળમાં જોડાયા હતા.

1977માં છઠ્ઠી લોકસભામાં પાસવાન જનતા પાર્ટીની ટિકિટ પર સાંસદ બન્યા હતા અને ઐતિહાસ અંતરથી જીત મેળવી હતી. વિશ્વનાથ પ્રતાપસિંહની કેબિનેટમાં તેઓ પ્રથમ વખત કેન્દ્રમાં મંત્રી બન્યા હતા.
તેના બાદ તેઓ કેન્દ્રની રાજનીતિમાં હંમેશા સક્રિય રહ્યાં. ક્યારેક ભાજપ તો ક્યારેક કૉંગ્રેસ, ક્યારેક આરજેડી તો ક્યારેક જેડીયૂ સાથે અનેક ગઠબંધનોમાં રહ્યાં અને કેન્દ્ર સરકારમાં મંત્રી રહ્યાં. તેઓએ વિવિધ સરકારોમા રેલવેથી લઈને દૂરસંચાર અને કોલસા મંત્રાલય સુધી જવાબદારી સંભાળી. કદાચ એટલા માટે જ તેમને ભારતીય રાજકારણના મૌસમ વૈજ્ઞાનિક કહેવામાં આવતા, કારણ કે કેન્દ્રમાં કોઈ પણ સરકાર બને તેઓ મંત્રી બનતા જ હતા.
2002માં ગુજકાત રમખાણના કારણે તેમણે વાજપેયી સરકારમાંથી રાજીનામું આપી દીધું અને એનડીએ પણ છોડી દીધું હતું. તેના બાદ યૂપીએસ સાથે જોડાયા અને મનમોહન સિંહના બન્ને કાર્યકાળમાં તેમને કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન મળ્યું હતું. 2014માં યૂપીએ છોડી ફરી એનડીએમાં સામેલ થયા. 2014 અને 2019માં નરેન્દ્ર મોદીની બન્ને સરકારમાં કેન્દ્રીય મંત્રિમંડળમાં સામેલ થયા.