નવી દિલ્હીઃ ગણતંત્ર દિવસ પર ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન લાલ કિલ્લા પર થયેલી હિંસાના માસ્ટર માઇંડ દીપ સિદ્ધુ પર દિલ્હી પોલીસે ગાળિયો ભીંસવાનું શરૂ કરી દીધું છે. દિલ્હી પોલીસે દીપ સિદ્ધુ, જુગરાજ સિંહ સહિત ચાર લોકો પર એક-એક લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યુ છે. આ લોકો લાલ કિલ્લા પર ઝંડો ફરકાવવા અને લોકોને હિંસા માટે ઉશ્કેરવામાં સામેલ હતા.


હિંસામાં સામેલ અન્ય ચાર પર 50-50 હજારનું ઈનામ

દિલ્હી પોલીસે હિંસામાં સામેલ અન્ય ચાર લોકો પર 50-50 હજારના ઇનામની જાહેરાત કરી છે. દિલ્હી પોલીસે હિંસા માટે જોઇન્ટ કમિશ્નર બી.કે.સિંહના નેતૃત્વમાં સ્પેશલ ઈન્વેસ્ટિગેશન ટીમ બનાવી છે. જેમાં ત્રણ ડીસીપી જોય તુર્કી, ભીષણ સિંહ અને મોનિકા ભારદ્વાજ પણ સામેલ છે.

હિંસા બાદ લાપતા છે સિદ્ધુ

26 જાન્યુઆરીએ હિંસા બાદ દીપ સિદ્ધુ, પૂર્વ ગેંગસ્ટર લખા સિધાના અને લાલ કિલ્લા પર ઝંડો ફરકાવનારા જુગરાજ લાપતા છે. દીપ સિદ્ધુ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરી રહ્યો છે પરંતુ પોલીસ તેને હજુ સુધી પકડી શકી નથી. દિલ્હી પોલીસે હિંસા ફેલાવનારા 12 લોકોની તસવીર પણ શેર કરી છે.

કોણ છે દીપ સિદ્ધુ

લોકસભા ચૂંટણીમાં દીપ સિદ્ધુએ ગુરદાસપુર બેઠક પરથી ભાજપ સાંસદ અને બોલીવુડ અભિનેતા સન્ની દેઓલ માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો. દીપ સિદ્ધુ ખેડૂત આંદોલનમાં સતત બે મહિનાથી સક્રિય છે. થોડા દિવસ પહેલા દીપને શિખ ફોર જસ્ટિસ  સાથે સંબંધોને લઇને રાષ્ટ્રીય તપાસ એજન્સીએ નોટિસ પણ મોકલી હતી. દીપે ગત વર્ષે આંદોલન દરમિયાન કિસાન યુનિયનની લીડરશીપને લઇને સવાલ ઉભા કર્યા હતાં. આ દરમિયાન તેણે શંભુ મોર્ચા નામથી નવું ખેડૂત સંમેલન જાહેર કર્યું હતું. ત્યારે તેના મોર્ચાને ખાલિસ્તાન સમર્થિત ચેનલોએ સમર્થન આપ્યું હતું.