Droupadi Murmu Republic Day 2023 Speech: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 74માં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ આજે બુધવારે રાષ્ટ્રને નામે સંબોધન કર્યું હતું. તેમણે પોતાના સંબોધનની શરૂઆત દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભકામનાઓ આપીને કરી હતી. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, 74માં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ હું દેશ અને વિદેશમાં વસતા તમામ ભારતવાસીઓને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. જ્યારે આપણે પ્રજાસત્તાક દિવસ ઉજવીએ રહ્યાં છીએ ત્યારે આપણે એક રાષ્ટ્ર તરીકે સાથે મળીને કરેલી સિદ્ધિઓની ઉજવણી કરીએ છીએ.


પ્રમુખ દ્રૌપદી મુર્મુએ કહ્યું હતું કે, ગૌરવ ગાથા પ્રત્યે દરેક નાગરિકને ગર્વ છે. આપણે બધા એક છીએ અને આપણે સૌ ભારતીય છીએ. આટલા બધા સંપ્રદાય અને અનેક ભાષાઓએ આપણને વિભાજિત કર્યા નથી પણ એક કર્યા છે. તેથી જ આપણે લોકતાંત્રિક પ્રજાસત્તાક તરીકે સફળ થયા છીએ. આ જ ભારતનો સાર-તત્વ છે.


બંધારણ ઘડનારાઓનો માન્યો આભાર 


તેમણે કહ્યું હતું કે, ગરીબ અને નિરક્ષર રાષ્ટ્રની સ્થિતિથી આગળ વધી ભારતે વિશ્વ મંચ પર આત્મવિશ્વાસ ધરાવતા રાષ્ટ્રનું સ્થાન લઈ લીધું છે. બંધારણ ઘડનારાઓના સામૂહિક બુદ્ધિમતાથી મળેલા માર્ગદર્શન વિના આ પ્રગતિ શક્ય ન બની હોત. ભારત હંમેશા ડૉ. બી.આર. આંબેડકરનો આભારી રહેશે જેમણે બંધારણની મસૌદા સમિતિનું નેતૃત્વ કર્યું અને આ રીતે તેને અંતિમ સ્વરૂપ આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી.


રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, આપણે ન્યાયશાસ્ત્રી બીએન રાઉની ભૂમિકાને પણ યાદ રાખવી જોઈએ, જેમણે પ્રારંભિક ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો અને અન્ય નિષ્ણાતો અને અધિકારીઓ કે જેમણે બંધારણ ઘડવામાં મદદ કરી હતી. અમને ગર્વ છે કે, તે વિધાનસભાના સભ્યો ભારતના તમામ પ્રદેશો અને સમુદાયોનું પ્રતિનિધિત્વ કરે છે અને તેમાં 15 મહિલાઓ શામેલ હતી.


"આપણે આકરી મંદીમાંથી ઝડપથી બહાર આવ્યા"


કોવિડ-19નો ઉલ્લેખ કરતાં રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, કોરોનાને કારણે અર્થવ્યવસ્થાને ઘણું નુકસાન થયું છે. કોરોનાથી ગભરાવાની જરૂર નથી. અમે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. ગયા વર્ષે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની હતી. આર્થિક અનિશ્ચિતતાની વૈશ્વિક પૃષ્ઠભૂમિ સામે આ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. સક્ષમ નેતૃત્વ અને અસરકારક સંઘર્ષની મદદથી આપણે ટૂંક સમયમાં જ મંદીમાંથી બહાર આવ્યા અને વિકાસની આપણી સફર ફરી શરૂ કરી. સરકારના સમયસર અને સક્રિય હસ્તક્ષેપને કારણે આ શક્ય બન્યું છે. 'આત્મનિર્ભર ભારત' પહેલને લોકોમાં સારો પ્રતિસાદ મળ્યો છે.


"મહિલા સશક્તિકરણ હવે માત્ર એક સૂત્ર નથી"


રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, મહિલા સશક્તિકરણ અને સ્ત્રી-પુરુષ વચ્ચે સમાનતા હવે માત્ર સૂત્રોમાં જ નથી રહી ગઈ. મારા મનમાં કોઈ શંકા નથી કે આવતીકાલના ભારતને ઘડવામાં મહિલાઓ સૌથી વધુ યોગદાન આપશે. સશક્તિકરણનો આ જ દ્રષ્ટિકોણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સહિત લોકોના નબળા વર્ગો માટે સરકારના કાર્યને માર્ગદર્શન આપે છે. હકીકતે આપણો ઉદ્દેશ્ય માત્ર એવા લોકોના જીવનમાં આવતા અવરોધોને દૂર કરવાનો અને તેમના વિકાસમાં મદદ કરવાનો નથી, પરંતુ તે સમુદાયો પાસેથી શીખવાનો પણ છે.


"હું બહાદુર સૈનિકોની પ્રશંસા કરું છું"


રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું હતું કે, હું દરેક નાગરિકની પ્રશંસા કરું છું જેમણે દેશની પ્રગતિમાં યોગદાન આપ્યું છે. હું ખાસ કરીને બહાદુર સૈનિકોની પ્રશંસા કરું છું જેઓ આપણી સરહદોની રક્ષા કરે છે અને કોઈપણ પ્રકારના ત્યાગ અને બલિદાન માટે હંમેશા તૈયાર રહે છે. હું દેશવાસીઓને આંતરિક સુરક્ષા પ્રદાન કરનારા તમામ અર્ધ-લશ્કરી દળો અને પોલીસ દળોના બહાદુર જવાનોની પણ પ્રશંસા કરું છું. હું તમામ બાળકોને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે હૃદયપૂર્વક આશીર્વાદ આપું છું.