પટના: આગામી બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને તેજસ્વી યાદવે રાષ્ટ્રીય જનતા દળનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. તેજસ્વી યાદવે 10 લાખ સરકારી નોકરી આપવાનો વાયદો કર્યો છે. તેમણે એ પણ વાયદો કર્યો છે કે તેમની સરકાર બનશે તો કોન્ટ્રાક્ટ પર કોઈ નોકરી નહી આપવામાં આવે, તમામને પાક્કી સરકારી નોકરી આપવામાં આવશે. એક જેવા કામ માટે તમામને સરખુ વેતન મળશે.


તેજસ્વી યાદવે ચૂંટણી ઢંઢેરામાં પ્રણ હમારા સંકલ્પ બદલાવ કા નામ આપ્યું છે. જેમાં 15થી વધારે મુદ્દાઓને સામેલ કરવામાં આવ્યા છે. સૌથી ઉપર રોજગાર, કૃષિ, ઉદ્યોગ અને શિક્ષણને સ્થાન આપવામાં આવ્યું છે. તેજસ્વીએ કહ્યું છે કે બિહારીઓને 85 ટકા અનામત આપવાની વાત પણ કરી છે. આ સાથે જ શિક્ષણ બજેટ પર 22 ટકા ખર્ચ કરવામાં આવશે.

ભાજપ પર નિશાન સાધ્યું

તેજસ્વી યાદવે કહ્યું, ભાજપ વાળા જણાવે કે તેમના મુખ્યમંત્રીનો ચહેરો કોણ છે ? નીતીશ કુમાર છે ? નીતીશ કુમારે તો 10 લાખ નોકરીઓમાં જ હાથ ઉપર કરી દિધા હતા તો ક્યાંથી આપશે. ભાજપ ક્યાંથી નોકરી આપશે. નેતૃત્વ તો નીતીશ કુમાર કરી રહ્યા છે, તો મૂર્ખ કોને બનાવી રહ્યા છે.

આ પહેલા આરજેડી, કૉંગ્રેસ અને લેફ્ટ પાર્ટીઓના મહાગઠબંધનનો ચૂંટણી ઢંઢેરો 17 ઓક્ટોબરે જાહેર થયો હતો. મહાગઠબંધને પણ 10 લાખ નોકરીઓનો વાયદો કર્યો છે. તેજસ્વી યાદવે કહ્યું હતું કે મહાગઠબંધનનું સૌથી વધારે ધ્યાન બેરોજગારી દૂર કરવા પર છે.