નાગપુર: દેશભરમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સૌથી વધુ કોરોના સંક્રમિત સામે આવ્યા છે. અહીં અત્યાર સુધીમાં 80 હજારથી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 2 હજારથી વધુ લોકોના મોત થયા છે. અહીં અત્યાર સુધીમાં 2849 કોરોના સંક્રમિત જીવ ગુમાવી ચૂક્યા છે.


હવે મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખે શુક્રવારે કહ્યું કે રાજ્યમાં કોરોના વાયરસના કારણે જીવ ગુમાવનાર દરેક પોલીસકર્મીઓના પરિવારને 65-65 લાખ રૂપિયા વળતર તરીકે આપવામાં આવશે.

દેશમુખે 'પીટીઆઈ-ભાષા'ને આપેલા એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે સંક્રમણના કારણે મૃત્યુ પામેલા પોલીસકર્મીઓના પરિવારના એક સદસ્યને સરકારી નોકરી પણ આપવામાં આવશે. તેમણે કહ્યું કે સંક્રમણના કારણે મૃત્યુ પામેલા દરેક પોલીસકર્મીઓના પરિવારને 65-65 લાખ રૂપિયા આપવામાં આવશે.

મહારાષ્ટ્રમાં બુધવાર સુધી કોરોના સંક્રમણના કારણે ઓછામાં ઓછા 31 પોલીસકર્મીઓના મોત થયા છે. દેશમુખે શુક્રવારે કહ્યું કે મહારાષ્ટ્રમાં આ સમયે 5,60,303 લોકો ક્વોરન્ટીનમાં રહી રહ્યા છે. એક નિવેદનમાં મંત્રીના હવાલાથી જણાવવામાં આવ્યું કે રાજ્યમાં અત્યાર સુધીમાં 80229 લોકો સંક્રમિત થયા છે, જેમાંથી 2849 લોકોના મોત થયા છે.