નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર ચૂંટણીને લઇને બીજેપી અને શિવસેનાની વચ્ચે સીટોની વહેંચણીને લઇને કોઇ જાહેરાત નથી થઈ, પરંતુ શિવસેનાનાં આ પગલાથી પહેલીવાર ઠાકરે પરિવારની પરંપરા તૂટી છે. આ પહેલીવાર હશે જ્યારે ઠાકરે પરિવારનું કોઈ સભ્ય પ્રત્યક્ષ રીતે ચૂંટણીમાં ઉતરશે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનાં દીકરા આદિત્ય ઠાકરે વર્લી વિધાનસભાથી ચૂંટણી લડશે. ઉલ્લેખનીય છે કે બાલા સાહેબ ઠાકરેથી ઉદ્ધવ ઠાકરે અને એમએનએસ પ્રમુખ રાજ ઠાકરે અત્યાર સુધી પ્રત્યક્ષ રીતે ચૂંટણી લડવાથી અંતર બનાવતા રહ્યા છે.


25 વર્ષનાં આદિત્ય ઠાકરે ઓગષ્ટ મહિનાની શરૂઆતમાં જન આશિર્વાદ યાત્રા પર નિકળ્યા હતાં. આ કાર્યક્રમનો હેતૂ લોકોને, ખાસ કરીને યુવા મતદારોને આકર્ષવાનો હતો. શિવસેના સૂત્રોનાં જણાંવ્યા પ્રમાણે આદિત્ય ઠાકરે આ વખતે તેમનાં મુખ્યમંત્રી પદનાં ઉમેદવાર રહેશે. અત્યાર સુધી શિવસેના દરેક ચૂંટણીમાં કોઇ પણ ચૂંટણી વગર મેદાનમાં ઉતરતી હતી. જો કે હવે તેને રણનીતિ બદલવાનો નિર્ણય કર્યો છે.


જો આદિત્ય ઠાકરે મુખ્યમંત્રી પદનાં ઉમેદવાર બનાવવાનો નિર્ણ શિવસેના તરફથી કરાશે તો નક્કી છે કે ભાજપ અને શિવસેના વચ્ચે ઘર્ણણ સર્જાશે. ભાજપે પહેલા જ સ્પષ્ટતા કરી છે કે મુખ્યમંત્રી પદ તે પોતાની પાસે રાખશે. અત્રે ઉલ્લેખનિય છે કે મહારાષ્ટ્રમાં હાલ ભાજપ-શિવસેનાની ગઠબંધન સરકાર સત્તામાં છે.

જો ભાજપ અને શિવસેના સરકારમાં પરત કરે છે તો આદિત્ય ઠાકરેને ઉપમુખ્યમંત્રીના પદ આપવામાં આવી શકે છે. હાલ વર્લી સાથે સુનીલ શિંદે શિવસેનાનાં ધારાસભ્ય છે. શિંદેએ વર્ષ 2014માં એનસીપીનાં ધારાસભ્ય અને મંત્રી રહેલા સચિન અહીરને ભારે મતોથી હરાવ્યા હતા. થોડા દિવસો પહેલા સચિન અહીરે શિવસેના પાર્ટીમાં પ્રવેશ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં શિવસેના અને ભારતીય જનતા પાર્ટીની વચ્ચે સીટોની વહેંચણીનાં ફૉર્મ્યુલા પર લગભગ મહોર લાગી ગઈ છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે બીજેપી રાજ્યમાં 144 સીટો અને શિવસેના 126 સીટો પરથી ચૂંટણી લડશે. તો અન્ય સહયોગી દળો માટે 18 સીટો રાખવામાં આવી છે. બીજેપી-શિવસેના ગઠબંધનમાં રામદાસ આઠવલેની રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા (આરપીઆઈ), રાષ્ટ્રિય સમાજ પાર્ટી, રયત ક્રાંતિ સંગઠન અને શિવસંગ્રામ પાર્ટી પણ સામેલ હશે.