નવી દિલ્લી:  છેલ્લા દોઢ વર્ષથી કોરોનાએ દુનિયાભરમાં તબાહી મચાવી છે. કોઇએ તેના માતા-પિતા ગુમાવ્યાં તો કોઇએ સંતાનોને ગુમાવ્યાં, તો કોરોના થયા બાદ કેટલાક લોકો ડિપ્રેશનમાં આવી ગયા અને આપઘાત કરી લીધા. આવા લોકોને ડેથ સર્ટીફિકેટ આપીને તેમના પરિવારને મદદ કરવા માટે કોર્ટ આગળ આવશે.


સુપ્રીમે કેન્દ્રને આપ્યાં નિર્દેશ


સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકારને કહ્યું કે, એવા કેસ કે જેમાં કોરોનાથી પરેશાન થઇને દર્દીએ આપઘાત કરી લીધો હોય તેને પણ કોવિડથી થયેલા મોતમાં જ સામેલ કરવામાં આવે, કોર્ટે આ મામલે રાજ્યોને નવા દિશા નિર્દેશ આપવા માટે કેન્દ્રને આદેશ  કર્યો છે.


સુપ્રીમ કોર્ટે શું કહ્યું?


TOIના એક રિપોર્ટ મુજબ જસ્ટીસ એમઆર શાહના પીઠે કહ્યું કે, અમે આપનું શપથપત્ર જોયું છે પરંતુ કેટલીક વાતો પર પુન:વિચાર કરવો જરૂરી છે. શપથ પત્રમાં કેન્દ્રના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કોવિડથી મૃત્યુ પામેલા લોકો માટે તેમના પરિજનોને સરળતાથી ડેથ સર્ટીફિકેટ મળી રહે તે માટે દિશા નિર્દેશ બનાવ્યાં છે. આ દિશા નિર્દેશ કેન્દ્ર રાજ્યોને મોકલ્યાં છે. કેન્દ્રે કોર્ટેને જે શપથપત્ર મોકલ્યું છે, તેમાં ઉલ્લેખ છે કે, કોવિડનો દર્દી જો ઝેર ખાઇને કે અન્ય રીતે આપઘાત કરીને જીવન ટૂંકાવી તો તેના મોતને કોવિડના મોતમાં સામેલ ન કરવામાં આવે, જો  કે કોર્ટે કહ્યું કે, કોવિડના દર્દીના આપઘાતને કોવિડના મોતમાં ન સમાવવવાનો નિર્ણય અસ્વીકાર્ય છે. કોર્ટે કહ્યું કે, કોવિડના દર્દીનું મોત કોઇ પણ રીતે થયું હોય તેમને કોવિડ ડેથનું સર્ટી મળવું જોઇએ. કોર્ટે એવી પણ સ્પષ્ટતા કરી છે કે, કોવિડના દર્દીનું હોસ્પિટલથી ડિસ્ચાર્જ થયા બાદ પણ જો મોત થાય તો તેને પણ કોવિડના ડેથમાં જ સામેલ કરીને તે મુજબનું ડેથ સર્ટી આપવામા આવે. કોવિડના કારણે પરિજનને ગુમાવ્યાં તેવા પરિવારને સરકારી યોજનાનો લાભ મળે તેથી કોર્ટે કેન્દ્રને આ મામલે નવા દિશા નિર્દેશ આપ્યાં છે