નવી દિલ્હીઃ આજે મધ્યપ્રદેશના રાજકારણ માટે મોટો દિવસ સાબિત થઇ શકે છે. મધ્યપ્રદેશમાં તરતજ રાજ્ય સરકારના બહુમતી પરીક્ષણની માંગ કરવાવાળી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાવવાની છે. મંગળવારે સુપ્રીમ કોર્ટે નૉટિસ મોકલી હતી. રાજ્યના પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણ અને બીજેપી ધારાસભ્યોએ અરજી દાખલ કરીને કહ્યું કે કોંગ્રેસ પોતાના 22 ધારાસભ્યોના રાજીનામાના કારણે રાજ્યની કોંગ્રેસ સરકાર બહુમતી ગુમાવી ચૂકી છે, પણ બહુમતી પરીક્ષણ નથી કરી રહી.


16 માર્ચે રાજ્યપાલના આદેશ અનુસાર વિધાનસભામાં કમલનાથ સરકારનુ બહુમતી પરીક્ષણ થવાનુ હતુ, પણ આમ કરવાની જગ્યાએ વિધાનસભાના સત્રને 26 માર્ચ સુધી સ્થગિત કરી દેવામાં આવ્યુ હતુ. આ બાદ તરતજ શિવરાજ સિંહ ચૌહાણે અને નવ બીજેપી ધારાસભ્યોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી દીધી હતી.



મંગળવારે આ મામલો જસ્ટિસ ડીવાઇ ચંદ્રચૂડ અને હેમંત ગુપ્તાની બેન્ચમાં સુનાવણી માટે આવ્યો હતો. સુનાવણી શરૂ થતા જ જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે, બીજા પક્ષ તરફથી અહીં કોઇ હાજર નથી એટલે અમારે તેમને નૉટિસ મોકલવી પડશે. બાદમાં સરકારને નૉટિસ ફટકારવામાં આવી હતી.