નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે આદિવાસીઓને જંગલોમાંથી ખસેડવાના આદેશ પર મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે 13 ફેબ્રુઆરીએ આપેલા આદેશ પર હાલમાં રોક લગાવી દીધી છે. આ નિર્ણય સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર તરફથી આદિવાસીઓને જંગલોમાંથી હટાવવાના આદેશ પર રોક લગાવવાના મામલે સુનાવણી દરમ્યાન આપ્યો છે. આ મામલે વધુ સુનાવણી 10 જુલાઈએ થશે.


ઉલ્લેખનીય છે કે, 13 ફેબ્રુઆરીએ જસ્ટિસ અરુણ મિશ્રા, જસ્ટિસ નવીન સિન્હા અને જસ્ટિસ ઇન્દિરા બેનર્જીની બેન્ચે 16 રાજ્યોના લગભગ 11.8 લાખ આદિવાસીઓને જમીન પર કબ્જો હોવાના દાવાને નકારી કાઢાયો હતો અને રાજ્ય સરકારોને આદેશ આપ્યો હતો કે પોતાના કાયદા પ્રમાણે જમીન ખાલી કરાવી તેઓને ખસેડવામાં આવે.  કોર્ટે 16 રાજ્યોના મુખ્ય સચિવોને આદેશ જારી કર્યો હતો કે, જ્યાં જમીન માલિકીના દાવાને નકારી કઢાયા છે તે મામલે અને જંગલોમાં કરાયેલું અતિક્રમણ દૂર કરી 12 જુલાઇ સુધીમાં રિપોર્ટ રજૂ કરે.

સુપ્રીમ કોર્ટમાં રાજ્યો સરકારો તરફથી રજૂ કરાયેલી એફિડેવિટ અનુસાર,  વન અધિકાર અધિનિયમ હેઠળ અનુસૂચિત જનજાતિઓ  અને પરંપરાગત વનવાસીઓ દ્વારા કરાયેલા લગભગ 11,72,931 જમીન માલિકોના દાવા ઓછામાં ઓછામાં ત્રણ પેઢીથી જમીન પોતાના કબ્જામાં હોવા અંગેના પુરાવાના અભાવના કારણે વિવિધ આધારો પર નકારી કઢાયા છે.

કેન્દ્રએ 13 ફેબ્રુઆરીના આદેશમાં સુધારો કરવા અનુરોધ કરતા કોર્ટને કહ્યું હતું કે, અનુસૂચિત જનજાતિ અને અન્ય પરંપારગત વનવાસી(વન અધિકારોની માન્યતા) કાનૂન, 2016 લાભ આપવા સંબંધિત કાયદો છે. અને ખૂબજ ગરીબ અને નિરક્ષર લોકો, જેઓને પોતાના અધિરકારો અને કાનૂની પ્રક્રિયાની જાણકારી નથી. જેથી મદદ માટે તેમાં ઉદારતા અપનાવવી જોઈએ.