નવી દિલ્હીઃ સોશ્યલ મીડિયાનો દુરપયોગ રોકવા હવે સુપ્રીમે કડક વલણ અપનાવ્યુ છે. સોશ્યલ મીડિયાનો દુરપયોગ રોકવા અને આધાર સાથે લિંક કરવાને લઇને સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે, આજે સુપ્રીમ કોર્ટે આ મામલે મદ્રાસ, એમપી અને બૉમ્બે હાઇકોર્ટમાં પડેલી અરજીઓને પોતાની પાસે ટ્રાન્સફર કરી લીધી છે. સુપ્રીમ કોર્ટે આ વિષય પર નીતિ બનાવવા માટે સરકારને ત્રણ મહિનાનો સમય આપ્યો છે.


કોર્ટે કહ્યું કે એ સ્પષ્ટ છે કે નિયમ બનાવતી વખતે લોકોની પ્રાઇવસીનુ પણ ધ્યાન રાખવામાં આવે, જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયે આના પર આગામી સુનાવણી થશે. કોર્ટે આ આદેશ ફેસબુક અને વૉટ્સએપની અરજી પર સુનાવણી દરમિયાન આપ્યો હતો.



બન્ને કંપનીઓએ પોતાના યૂઝર પ્રૉફાઇલને આધાર સાથે જોડવા પર અલગ અલગ હાઇકોર્ટમાં ચાલી રહેલી સુનાવણીને સુપ્રીમ કોર્ટ ટ્રાન્સફર કરાવવા માટે અરજી દાખલ કરી હતી. તેના તરફથી હાજર વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીની દલીલ હતી કે સોશ્યલ મીડિયાને આધાર સાથે જોડવુ પ્રાઇવસીનુ હનન ગણાશે. ખુદ સુપ્રીમ કોર્ટ આધારનો ઉપયોગ માત્ર આવશ્યક સરકારી સેવાઓમાં કરવાનો નિર્ણય આપી ચૂકી છે, આ મામલે સુપ્રીમ કોર્ટે જ સુનાવણી કરવી જોઇએ.