નવી દિલ્હી: અયોધ્યા વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે આજે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે વિવાદિત જમીન કેન્દ્ર સરકારને સોંપી હતી. તે સિવાય કોર્ટે નિર્મોહી અખાડા અને સુન્ની વક્ફ બોર્ડનો દાવો ફગાવ્યો હતો. કૉર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે અયોધ્યામાં વિવાદિત સ્થળે રામ મંદિર બનશે. જ્યારે મુસ્લિમ પક્ષને અયોધ્યામાં જ પાંચ એકર જમની અલગથી આપવામાં આવે. જેના પર તે મસ્જિદ બનાવી શકે. રામ મંદિર નિર્માણ માટે કૉર્ટે કેન્દ્ર સરકારને ત્રણ મહિનાની અંદર ટ્રસ્ટ બનાવવાનો આદેશ આપ્યો છે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ જજોની બેન્ચે આ નિર્ણય સર્વસન્મતિથી સંભાળાવ્યો હતો.


સુન્ની વક્ફ બોર્ડ તરફથી જફર ફારુકીએ કહ્યું કે બોર્ડ અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા પર રિવ્યૂ પિટિશન નહીં કરે. બોર્ડ તરફથી આ ચુકાદાનું સ્વાગત કરવામાં આવ્યું અને તેમણે કહ્યું કે અમે પહેલા પણ કહી ચુક્યા છે કે સુપ્રીમ કોર્ટ જે પણ ચુકાદો આપશે તેને દિલથી સ્વીકારાશે. ફારુકીએ કહ્યું કે તમામે ભાઈચારા સાથે આ ચુકાદાનું સન્માન કરવું જોઈએ. આ કેસમાં સુન્ની વક્ફ બોર્ડ એક મહત્વનો પક્ષકાર છે.

શિયા ધર્મગુરુ મૌલાના કલ્બે જવ્વાદે કહ્યું કે અમે વિનમ્રતાપૂર્વક સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સન્માન કરીએ છે. હું ભગવાનનો આભર માનું છું કે મુસ્લિમ સમાજના મોટાભાગના લોકોએ આ નિર્ણયને સ્વીકાર કર્યો છે અને વિવાદનો ઉકેલ આવ્યો છે. મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડને આ ચુકાદા બાદ પુનર્વિચાર અરજી દાખલ કરવાનો અધિકાર છે.