નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં અલગાવવાદીઓ દ્વારા પાડવામાં આવેલા બંધની વચ્ચે આજે સુપ્રીમ કોર્ટમાં અનુચ્છેદ 35Aને પડકાર આપનારી અરજી પર સુનાવણી થઇ. સુપ્રીમ કોર્ટે આ મામલે મોટી પીઠને લઇને અરજીકરનારાને સવાલ પુછ્યા, ત્યારબાદ 27 ઓગસ્ટની તારીખ આપવામાં આવી છે. આ મામલે આગામી સુનાવણી હવે 27 ઓગસ્ટે થશે. આગામી સુનાવણીમાં જ નક્કી થઇ જશે કે આ મામલે સુનાવણી બંધારણીય પીઠ કરશે કે નહીં.


સુનાવણી ઘાટીના લોકોની સાથે સાથે આખા દેશની નજર રહી. 35Aના મુદ્દા પર સુનાવણીની વચ્ચે અલગાવવાદીઓએ બે દિવસના બંધની જાહેરાત કરી છે, જેનો આજે બીજો દિવસ છે. અલગતાવાદીઓએ બંધ દરમિયાન અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન કર્યા હતા. જેને કારણે અમરનાથયાત્રા સ્થગિત કરવામાં આવી હતી.

રાજ્યના રામબન, ડોડા અને કિશ્તવાડથી આર્ટિકલ 35એના સમર્થનમાં આંશિક હડતાલ અને શાંતિપૂર્ણ રેલીઓ યોજાઇ હતી. વિવિધ ધાર્મિક અને સામાજિક સંગઠનોએ આર્ટિકલ 35એને સુપ્રીમ કોર્ટમાં પડકારવા વિરુદ્ધ બે દિવસના  બંધની જાહેરાત કરી હતી.રાજ્યમાં નેશનલ કોન્ફરન્સ, પીડીપીસ, માકપા અને કોગ્રેસ સહિત અનેક રાજકીય દળો અને અલગતાવાદીઓ આર્ટિકલ 35એ પર યથાસ્થિતિ બનાવી રાખવાની માંગ કરી રહ્યા છે. આ આર્ટિકલને કારણે જમ્મુ અને કાશ્મીરના બહારના લોકો રાજ્યમાં કોઇ અચળ સંપત્તિ ખરીદી શકતા નથી.હુર્રિયત નેતા બિલાલ વારે કહ્યું કે, આર્ટિકલ 35એને કારણે કાશ્મીર એક છે. જો તેને હટાવવામાં આવશે તો યુદ્ધ છેડાઇ જશે. જ્યારે નેશનલ કોન્ફરન્સના નેતા જાવેદ રાણે કહ્યું કે, બંધ દરમિયાન કોઇ તિરંગો ઉઠાવશે નહી એમ કરવા પર ખરાબ પરિણામો ભોગવવા પડશે.

આર્ટિકલ 35એ જમ્મુ કાશ્મીરને રાજ્યના રૂપમાં વિશેષ અધિકારો આપે છે. જે પ્રમાણે આપવામાં આવેલા અધિકારો સ્થાનિક નિવાસીઓ સાથે જોડાયેલા છે. જેનો અર્થ એ થયો કે રાજ્ય સરકારને એ અધિકાર છે કે તે આઝાદી સમયે બીજા સ્થાન પરથી આવેલા શરણાર્થીઓ અને અન્ય ભારતીય નાગરિકોને જમ્મુ કાશ્મીરમાં કોઇ પ્રકારની સુવિધા આપે અથવા તો ના આપે. આર્ટિકલ 35એને લઇને 14 મે 1954ના રોજ તત્કાલિન રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે આદેશ આપ્યો હતો. આ આદેશ મારફતે ભારતના બંધારણમાં એક નવી આર્ટિકલ 35એ ઉમેરવામાં આવી હતી. અનુચ્છેદ 35એ કલમ 370નો હિસ્સો છે. આ આર્ટિકલને કારણે બીજા રાજ્યોના કોઇ પણ નાગરિક જમ્મુ કાશ્મીરમાં સંપત્તિ ખરીદી શકતા નથી અને ત્યાં સ્થાનિક નાગરિક પણ બની શકતા નથી.