Election Commission Press: ગુજરાતમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે. એવામાં  ઘણા યુવા મતદારો આ વર્ષે પહેલી વખત મતદાન કરવા માટે ઉત્સુક છે. મતદાર તરીકેની લાયકાતની વર્ષમાં ચાર તારીખોના કારણે તારિખ ૦૧લી ઓક્ટોબરના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર યુવા મતદારોને પણ આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવાની તક મળશે.


ભારતના ચૂંટણી પંચ દ્વારા વિવિધ ફોર્મમાં સુધારો કરી વધુ સરળ બનાવવામાં આવ્યા. મહત્તમ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવશે. હાલ મુસદ્દા મતદાર યાદી મુજબ રાજ્યમાં કુલ ૪,૮૩,૭૫,૮૨૧ મતદારો, જે તમામનો ફોટો મતદારયાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.  રાજ્યભરમાં તા.૨૧/૦૮/૨૦૨૨, તા.૨૮/૦૮/૨૦૨૨ તા.૦૪/૦૯/૨૦૨૨ અને તા.૧૧/૦૯/૨૦૨૨ એમ સળંગ ચાર રવિવારના રોજ મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવશે..તા.૧૦/૧૦/૨૦૨૨ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે.


સુધારા-વધારા કરાવવાનું સરળ 


ગુજરાત વિધાનસભાની આગામી સામાન્ય ચૂંટણીમાં મહિલાઓ, દિવ્યાંગો અને યુવાનો સહિત મહત્તમ મતદારો સહભાગી થાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા સંનિષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ ભારતના ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલા કેટલાક સુધારાઓનો પણ અમલ કરવામાં આવી રહ્યો છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા તાજેતરમાં મતદારયાદી સંબંધિત કાયદા અને નિયમોમાં સુધારા જાહેર કરવામાં આવ્યા છે. આ સુધારા દ્વારા હવે મતદારો માટે મતદારયાદીમાં નામ નોંધાવવા કે સુધારા-વધારા કરાવવાનું સરળ થયું છે. સૌથી મહત્વનો સુધારો યુવા મતદારો માટે મતદાર તરીકે નામ દાખલ કરાવવા સબંધિત છે.


અગાઉ નવા મતદાર તરીકે નામ નોંધાવવા દર વર્ષે 1લી જાન્યુઆરીના રોજની લાયકાત ધ્યાને લેવામાં આવતી હતી. મતદાર નોંધણી નિયમ, ૧૯૬૦ તેમજ લોક પ્રતિનિધિત્વ ધારો, ૧૯૫૦ની કલમ ૧૪(બી) કે જે મતદારયાદીમાં નોંધણી માટે મતદારની યોગ્યતા માટેની લાયકાતની તારીખ સાથે સંબંધિત છે તેમાં સુધારો કરવામાં આવતા હવે ૧લી ઓકટોબર સુધીમાં જે યુવાનો ૧૮ વર્ષ પૂર્ણ કરતા હોય તેઓ આગામી ખાસ સંક્ષિપ્ત સુધારણા -ઓકટોબર, ૨૦૨૨ દરમિયાન મતદારયાદીમાં નામ નોંધાવી શકે છે. આ સાથે જ ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.૧૭મી જૂન, ૨૦૨૨ના જાહેરનામાથી મતદાર નોંધણી નિયમો, ૧૯૬૦ના નિયમ ૧૪, ૧૫ અને ૧૬માં સુધારા દ્વારા ફોર્મ નં. ૧, ૨, ૨(ક), ૩, ૬, ૭, ૮, ૧૧, ૧૧(ક), ૧૮ અને ૧૯ માં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે, જે ૧લી ઓગષ્ટ, ૨૦૨૨થી અમલમાં આવ્યા છે.


જે પૈકી સુધારવામાં આવેલ ફોર્મ-૬ માત્ર મતદાર યાદીમાં પ્રથમ વખત નામ નોંધણી કરાવવા માટે ઉપયોગમાં લેવાનું રહેશે. સાથે જ અનાથ નાગરિકના કિસ્સામાં કાયદેસરના વાલી અને ત્રીજી જાતિના કિસ્સામાં ગુરૂની વિગતો પણ સબંધની વિગતોના કોલમમાં આપી શકાશે તથા દિવ્યાંગ મતદારો દિવ્યાંગતાની વિગતોના પ્રમાણપત્ર સાથે તેનો ફોર્મ-૬માં ઉલ્લેખ કરી શકશે. અગાઉ સ્થળાતરથી અન્ય વિધાનસભા મતવિભાગમાં જતા મતદારો માટે પણ ફોર્મ-૬નો ઉપયોગ થતો હતો તે જોગવાઈ હવે દૂર કરવામાં આવી છે.


બિન નિવાસી ભારતીયો કે જે ભારતના નાગરિક છે પરંતુ શિક્ષણ કે રોજગારના હેતુઓ માટે ભારતની બહાર વસવાટ કરે છે તેઓ ફોર્મ-૬(ક) ભરીને મતદારયાદીમાં નામ નોંધાવી શકે છે, જે જોગવાઈ યથાવત રાખવામાં આવી છે અને તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત મતદારયાદીમાં નોંધાયેલ નામની સામે આધાર નંબરની વિગતો પૂરી પાડવા એટલે કે મતદાર ઓળખપત્રને આધાર નંબર સાથે લિંક કરાવવા ફોર્મ-૬(ખ) ભરી શકાશે. હાલની મતદારયાદીમાં નોંધાયેલા નામ કે નામ નોંધણીની અરજી સામે વાંધો ઉઠાવવા માટે તથા મતદારયાદીમાંથી નામ કમી કરાવવા માટે ફોર્મ-૭નો ઉપયોગ કરવાનો રહેશે. જેના નામ કે અરજીની સામે વાંધો ઉઠાવવાનો હોય તેની વિગતો રજૂ કરવાના કોલમમાં સુધારેલા ફોર્મમાં સહેજ ફેરફાર કરવામાં આવ્યો છે. ફોર્મ-૦૭ની તે સિવાયની બાબતો યથાવત રાખવામાં આવી છે.


હવે માત્ર ફોર્મ-૮ ભરવાનું રહેશે


નવા સુધારેલા ફોર્મ-૮નો વિવિધ ચાર હેતુઓ માટે ઉપયોગ કરી શકાશે. સ્થળાંતરના કારણે સરનામું બદલવા, મતદારયાદીમાં હાલ નોંધાયેલી વિગતોમાં ફેરફાર કરવા, સુધારા વિના જૂનાને બદલે નવું EPIC (મતદાર ઓળખપત્ર) મેળવવા તથા દિવ્યાંગ તરીકે નોંધ કરાવવા ફોર્મ-૮નો ઉપયોગ કરી શકાશે. અગાઉ વિધાનસભા મતવિભાગની અંદર સ્થળાંતરના કારણે સરનામું બદલાતુ હોય તેવા કિસ્સામાં ફોર્મ-૮(ક) અને વિધાનસભા મતવિભાગની બહાર સ્થળાંતરના કારણે સરનામું બદલાતુ હોય તેવા કિસ્સામાં ફોર્મ-૬ ભરવામાં આવતું હતું, જેના બદલે હવે માત્ર ફોર્મ-૮ ભરવાનું રહેશે. વધુમાં, જૂનાને બદલે નવું EPIC (મતદાર ઓળખપત્ર મેળવવા માટે અગાઉ ફોર્મ-૦૦૧નો ઉપયોગ થતો હતો તેના બદલે હવે તે હેતુ માટે ફોર્મ-૮ ભરવાનું રહેશે.


ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨માં મહત્તમ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તા.૦૧લી ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા માટે ચૂંટણી પંચ દ્વારા મતદારચાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવનાર છે.જે અંતર્ગત તા.૧૨/૦૮/૨૦૨૨ના રોજ સંકલિત મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. મુસદ્દા મતદાર યાદીની પ્રસિદ્ધિની સાથે જ તા.૧૨/૦૮/૨૦૨૨થી તા.૧૧/૦૯/૨૦૨૨ દરમ્યાન મતદાર યાદીમાં નોંધાયેલા નામ કે નવા નોંધાનાર નામની અરજી અંગે હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજૂ કરી શકાશે. આ અરજીઓની તા.૨૬/૦૯/૨૦૨૨ સુધીમાં ચૂંટણી તંત્ર દ્વારા યોગ્ય નિકાલ કરવામાં આવશે અને તા.૧૦/૧૦/૨૦૨૨ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે. 


તમામનો ફોટો મતદારયાદીમાં સમાવેશ કરવામાં આવ્યો


હાલ મુસદ્દા મતદાર યાદીમાં ૨,૫૦,૦૬,૭૭૦ પુરૂષ, ૨,૩૩,૬૭,૭૬૦ સ્ત્રી અને ૧,૨૯૧ ત્રીજી જાતિના મળી કુલ ૪, ૮૩,૭૫,૮૨૧ મતદારો નોંધાયેલા છે. જે તમામનો ફોટો મતદારયાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પુનઃગઠન બાદ કુલ ૫૧,૭૮૨ મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે. નોંધાયેલા મતદારો Voter Helpline મોબાઈલ એપ, ચૂંટણી પંચના National Voter's Service Portal https://www.nvsp.in (NVSP Portal) પર તથા મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાતની વેબસાઈટ https://ceo.gujarat.gov.in ના માધ્યમથી તથા સબંધિત ભાગના બુથ લેવલ ઓફિસર, મતદાર નોંધણી અધિકારીની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી અને કલેક્ટર કચેરીની ચૂંટણી શાખા, પ્રાંત કચેરી કે મામલતદાર કચેરી ખાતેથી મતદાર યાદીમાં પોતાનું અને પોતાના પરિવારના સભ્યોનું નામ છે કે કેમ તે ચકાસી શકશે. આ સિવાય કચેરી કામકાજના દિવસોએ કચેરી સમય દરમ્યાન હેલ્પલાઈન નંબર ૧૯૫૦ પર ફોન કરીને પણ મતદાર યાદીમાં નામ છે કે નહી તે જાણી શકાશે.