નવી દિલ્લીઃ  દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થઈ છે. કર્ણાટકમાં નવા વેરિયન્ટના બે કેસ નોંધાયા છે. નવો વેરિયન્ટ ભારતમાં આવતા સરકાર એલર્ટ બની ગઈ છે. નવા વેરિયન્ટને લઈને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સત્તાવાર જાહેરાત કરી છે. આરોગ્ય વિભાગે જણાવ્યા પ્રમાણે, ગઈ કાલે મોડી રાતે રિપોર્ટ આવ્યો હતો. જેમાં 46 અને 66 વર્ષના બે વ્યક્તિમાં કોરોનાનો નવો વેરિયન્ટ મળી આવ્યો છે. બંને કેસ કર્ણાટકના છે. તેમના સંપર્કમાં આવેલા લોકોની પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. 






કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોન ઝડપથી અનેક દેશોમાં ફેલાઇ ચૂક્યો છે. વાયરસના નવા વેરિઅન્ટને અન્ય સ્ટ્રેન કરતા વધુ ખતરનાક અને સંક્રમિત ગણાવવામાં આવી રહ્યો છે. ડબલ્યૂએચઓના જણાવ્યા અનુસાર અત્યાર સુધી આ વાયરસ દુનિયાભરના 25 દેશોમાં ફેલાઇ ચૂક્યો છે. જ્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને છેલ્લા સપ્તાહમાં તેને વેરિઅન્ટ ઓફ કન્સર્ન જાહેર કરવામાં આવ્યો હતો. અનેક દેશોમાં સંક્રમણથી બચવા માટે ઇન્ટરનેશનલ ઉડાણો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ વચ્ચે એક રાહત આપનારા સમાચાર આવ્યા છે.

વાસ્તવમાં ડબલ્યૂએચઓ અને કોરોના વાયરસ નિષ્ણાંત આ નવા વેરિઅન્ટ પર સતત સ્ટડી કરી રહ્યા છે અને જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આખરે આ વાયરસ અન્ય વેરિઅન્ટની સરખામણીએ કેટલો ખતરનાક છે. જ્યારે સાઉથ આફ્રિકામાં વાયરસથી સંક્રમિત થયાને એક સપ્તાહ થઇ ગયો છે. દર્દીઓ પર કરવામાં આવેલા અભ્યાસમાં નિષ્ણાંતોએ કહ્યું કે કોરોના વાયરસનો આ નવો વેરિઅન્ટ વધુ સંક્રમિત છે પરંતુ આ વેરિઅન્ટથી સાઉથ આફ્રિકામાં કોરોનાથી મૃત્યુ દરમાં ઉછાળો આવ્યો નથી.

નિષ્ણાતોનું માનવુ છે કે આ વાયરસ ઝડપથી લોકોમાં ફેલાઇ રહ્યો છે પરંતુ ઓમાક્રોનથી સંક્રમિત દર્દીઓને હોસ્પિટલમાં ભરતી કરવા અથવા મૃત્યુ થવાના કોઇ રિપોર્ટ મળ્યા નથી. ડબલ્યૂએચઓ કહ્યું કે ઉડાણો પર પ્રતિબંધ લગાવવાના બદલે આપણે સાવધાની રાખવાની જરૂર છે. સાઉથ આફ્રિકામાં આ વાયરસથી સંક્રમિત થનારા લોકોના રિપોર્ટથી જાણવા મળે છે કે ઓમિક્રોન કોરોના વાયરસનો વેરિઅન્ટ ડેલ્ટાની સરખામણીએ વધુ ઘાતક નથી. સાઉથ આફ્રિકાના હોસ્પિટલોમાં અને ડોક્ટરોએ કહ્યું કે ઓમિક્રોનથી સંક્રમિત દર્દીઓમાં ફક્ત ગંભીર માથાનો દુખાવો, ચક્કર આવવું અને હાઇ પલ્સ રેટનો અનુભવ થયો છે.