નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ જે હિંસા શરૂ થઈ છે તે અટકવાનું નામ લેતી નથી. હવે કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરન પર મિદનાપોરમાં હુમલાના સમાચાર છે. કહેવાય છે કે તેમના પર કેજીટી ગ્રામીણ વિધાનસભાના પંચખુડીમાં હુમલો થયો છે. તેમની કારના કાચ તોડી નાખવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.


કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરને ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો. આ વીડિયોના કેપ્શનમાં તેમણે લખ્યું કે પશ્ચિમી મિદિનાપોરના પ્રવાસ દરમિયાન મારી ગાડી પર ટીએમસીના ગુંડાઓએ હુમલો કર્યો. કાચ તોડી નાખ્યા. મારા પર્સનલ સ્ટાફ ઉપર પણ હુમલો કરવામાં આવ્યો. મારે મારો પ્રવાસ અધવચ્ચેછોડીને પાછા ફરવું પડ્યું છે.



કેન્દ્રીય મંત્રી વી મુરલીધરન તરફથી શેર કરાયેલા વીડિયોમાં એક વ્યક્તિ ડંડાથી તેમની કાર પર હુમલો કરતો જોવા મળી રહ્યો છે. જેવો તે હુમલો કરે છે કે કેન્દ્રીય મંત્રીની ગાડીનો ડ્રાઈવર ગાડીને પાછી વાળે છે. જ્યાં હુમલો કરાયો છે ત્યાં ટીએમસીના ઝંડા અને બેનર લાગેલા છે. હુમલા દરમિયાન ગાડીનો કાચ તૂટી જાય છે અને ડંડો અંદર આવી જાય છે.


આ હુમલા મામલે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં આજે જે પ્રકારે કેન્દ્રીય મંત્રી પર હુમલો થયો ત્યાંની સરકારે લોકતંત્રને શર્મસાર કરી છે. આ સરકાર પ્રાયોજિત હિંસા છે, અમે તેની ટીકા કરીએ છીએ. મંત્રી સુરક્ષિત નથી તો પછી સામાન્ય જનતાનું શું થશે. જે પોલીસ અધિકારીઓ અને જેમની ઉપસ્થિતિમાં આ હુમલો થયો છે તેમના ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ.


 બંગાળમાં પરિણામો બાદ થયેલી હિંસા પર હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલય પણ એક્શનમાં આવી ગયું છે. ગૃહ મંત્રાલયે એક ચાર સભ્યોની ટીમને બંગાળ મોકલી છે. જે હિંસાની તપાસ કરશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ અગાઉ રાજ્ય પાસે રિપોર્ટ પણ માંગ્યો હતો અને હિંસાને લઈને જાણકારી માંગી હતી. ગૃહ મંત્રાલય દ્વારા જે ચાર સભ્યોની ટીમ બંગાળ મોકલવામાં આવી તેનું નેતૃત્વ એડિશનલ સેક્રેટરી લેવલના ઓફિસર કરી રહ્યા છે.