લખનઉ: ઉન્નાવ રેપ કાંડની પીડિતાની રોડ અકસ્માત બાદ દિલ્હીથી લઈને લખનઉ સુધી રાજકારણ ગરમાયું છે. પીડિતાના ન્યાય અપાવવા માટે અને યોગી સરકારના વિરોધમાં પ્રદર્શન થઈ રહ્યું છે. આ મામલે વિપક્ષી દળોએ ભાજપ સરકાર વિરુદ્ધ મોર્ચો માંડ્યો છે. લોકસભામાં પણ આ મુદ્દે હંગામો થઈ રહ્યો છે. વિપક્ષે ગૃહમંત્રી અમિત શાહ પાસે આ મામલે સંસદમાં જવાબની માંગ કરી છે.


કૉંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ ઉત્તર પ્રદેશની કાયદા વ્યવસ્થા પર સવાલ ઉઠાવતા કહ્યું કે આપણે કયા સમાજમાં રહીએ છે. જ્યાં એક પીડિતા સાથે એવી દર્દનાક ઘટના થઈ રહી છે. અધીર રંજન ચૌધરીએ આ મામલે ગૃહમંત્રી અમિત શાહના નિવેદનની માંગ કરી. તેની સાથે વિપક્ષ સતત બેટી બચાઓ, બેટી બઢાઓનું શું થયું ? અને મોદી સરકાર જવાબ આપે જેવા નારા લગાવ્યા.


ઉલ્લેખીય છે કે ભાજપના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર પર બળાત્કારનો આરોપ લગાવનાર પીડિતા અને તેમની કાકી અને માસી પોતાના વકીલ સાથે રાયબરેલી જેલમાં બંધ પોતાના સંબંધીને રવિવારે મળવા જઈ રહ્યાં હતા. ત્યારે તેમની કારને એક ટ્રકે ટક્કર મારી હતી. જેમાં બન્ને મહિલાઓનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં ઘાયલ પીડિતા અને વકીલની હાલત ગંભીર છે અને તે ટ્રોમાં સેન્ટરમાં વેન્ટિલેટર પર છે. પીડિતાના કાકાને એક દિવસ માટે શોર્ટ ટર્મ જામીન આપવામાં આવી છે. જેથી તે પોતાની પત્નીના અંતિમ સંસ્કાર કરી શકે.




પીડિતાના પરિવાર સાથે થયેલા અકસ્માત બાદ રાજકીય હંગામો થતાં યૂપી પોલીસે કાર્યવાહી કરતા, રેપના આરોપમાં અગાઉની જેલમાં બંધ ધારાસભ્ય કુલદીપ સેંગર સહિત 15-20 અજાણ્યા લોકો વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધી છે. સરકારે સોમવારે મોડી રાતે આ મામલે સીબીઆઈ તપાસની ભલામણ કરી છે.