પ્રયાગરાજ: ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં એક શખ્સ હાથમાં તિરંગો લઈને બસો ફૂટ ઊંચા ટાવર પર ચઢી ગયો હતો. તેમનું કહેવું હતું કે જ્યા સુધી ઇસરોનો સંપર્ક ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમ સાથે નહીં થાય ત્યાં સુધી નીચે નહીં ઊતરું. પોલીસ-તંત્રએ તેને નીચે ઉતારવામાં ભારે જહેમત કરવી પડી હતી.


આ યુવક સોમવારે સાંજે શહેરના નવા યમુના પુલના લગભગ 200 ફૂટ ઊંચા ટાવર પર ચઢી ગયો હતો અને કૂદવાની ધમકી આપવા લાગ્યો હતો. તેણે ટાવર પરથી એક કાગળ ફેક્યું હતું, જેમાં લખ્યું હતું કે ચંદ્રયાન -2 વિક્રમનો ઇસરો સાથે સંપર્ક સ્થાપિત નહીં થાય ત્યા સુધી તે નીચે નહીં ઊતરે અને સંપર્ક ટાવર થી જ પ્રાથના કરતો રહેશે.

જો કે ભારે જહેમત બાદ વારાણસીથી સ્પેશિયલ હાઈડ્રોલિક લિફ્ટ મંગાવીને તેને જબરજસ્તી સુરક્ષિત નિચે ઉતારવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોએ જણાવ્યું કે આ ચોવીસ વર્ષીય યુવકની માનસિક સ્થિતિ સારી નથી જેના કારણે તે આવી હરકતો અનેકવાર કરી ચુક્યો છે.
ઉલ્લેખનીય છે કે ચંદ્રયાન-2નું લેન્ડર ચંદ્રની સપાટી તરફ આવતી વખતે 2.1 કિલોમીટરની ઉંચાઈ પર જમીની સ્ટેશન સાથે તેનો સંપર્ક તૂટી ગયો હતો. ‘વિક્રમ’એ ‘રફ બ્રેકિંગ’ અને ‘ફાઈન બ્રેકિંગ’ ફેઝને સફળતા પૂર્વક પૂરું કરી લીધું, પરંતુ સૉફ્ટ લેન્ડિંગ પહેલા તેનો સંપર્ક પૃથ્વી પરના સ્ટેશનથી તૂટી ગયો.