શ્રાવસ્તી: ઉત્તરપ્રદેશના શ્રાવસ્તી જિલ્લાના ગદરા ગામમાં 22 વર્ષની મહિલાને તેના પતિ અને પરિવારજનોએ પાંચ વર્ષની પુત્રીની નજર સામે જ જીવતી સળગાવી દીધી હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. હાલ પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

પીડિતાના પિતા રમઝાન ખાને આરોપ લગાવ્યો છે કે, જમાઈ નફીસે તેમની દીકરી સઈદાને 6 ઓગસ્ટે ફોન કરીને તલાક આપ્યા હતાં. સઈદા ત્રણ તલાક સામે ફરિયાદ કરવા ગઈ હતી તો પોલીસે પતિ મુંબઈથી પરત આવે ત્યાં સુધી રાહ જોવાનું કહ્યું હતું. જોકે 15 ઓગસ્ટે નફીસ પરત આવ્યો તો પોલીસે દંપતીને ચોકીમાં બોલાવી વાત કરી હતી અને સઈદાને નફીસ સાથે રહેવા જણાવ્યું હતું.

સઈદાની દીકરી ફાતિમાએ પોલીસને જણાવ્યું હતું કે, શુક્રવારે બપોરે મારા પિતા નમાઝ પઢીને પરત આવ્યા ત્યારે બંને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યાર બાદ તેના દાદા અઝીઝુલ્લાહ, દાદી હસીના અને નણંદ નાદિરા અને ગુડિયા આવી હતી. તેના પિતાએ તેની માતાના વાળ પકડી માર મારી હતી. નણંદોએ કેરોસીન છાંટ્યું હતું અને દાદા-દાદીએ માચીસ સળગાવીને માતાને આગ ચાંપી દીધી હતી.

ઘટનાની જાણ થતાં સઈદાના ભાઈ રફીક ફાતિમાને લઈ પોલીસ સ્ટેશને પહોંચી જાણ કરી હતી. પોલીસે સઈદાના શબને પોસ્ટમમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. શ્રાવસ્તીના એસપી આશિષ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, આરોપીઓની વિરૂદ્ધ દહેજ પ્રતાડના, હત્યા અને દહેજ નિષેધ અધિનિયમ હેઠળ એફઆઇઆર નોંધવામાં આવી છે. 6 ઓગસ્ટે મહિલા ફરિયાદ કરવા ગઈ તો તેની ફરિયાદ કેમ ન નોંધાઈ તેની પણ તપાસ થશે.