લખનઉ: શહીદ જવાનોના પરિવારને આર્થિક મદદ મામલે ઉત્તરપ્રદેશની કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે ભારતીય સેનાના શહીદ પરિવારોને મળતી આર્થિક સહાયની રકમ ડબલ કરી દીધી છે. હવે યૂપીના કોઈ જવાન શહીદ થશે તો, તેમના પરિવારને 25 લાખની જગ્યાએ 50 લાખ રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવશે.


અગ્ર મુખ્ય સચિવ ગૃહ અવનીશ અવસ્થીએ જણાવ્યું કે, અત્યાર સુધી રાજ્યના મૂળ નિવાસી જે કેન્દ્રીય અર્ધસૈનિક દળમાં, થલ સેના, વાયુ સેના કે નૌસેનામાં શહીદ થતા હતા, તેમના પરિવારને અત્યાર સુધી 25 લાખ રૂપિયાની સહાય આપવામાં આવતી હતી, પરંતુ હવે શહીદના પરિવારને 50 લાખ રૂપિયાની સહાયતા આપવામાં આવશે. જેમાંથી 35 લાખ રૂપિયા તેમના પત્ની અને તેમના બાળકોને આપવામાં આવશે. જ્યારે બાકીના 15 લાખ રૂપિયાની રકમ તેમના માતા પિતાને આપવામાં આવશે. આ આદેશને 1 એપ્રિલ 2020થી લાગુ કરી દેવામાં આવ્યો છે.