નવી દિલ્હી: કોંગ્રેસની નેતા અને પૂર્વ સાંસદ વિજયા શાંતિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઉપર આપત્તિજનક ટિપ્પણી કરી હતી. એએનઆઈના મતે વિજયા શાંતિએ કહ્યું હતું કે, લોકો ડરી રહ્યા છે તેમને ખબર નથી કે મોદી ક્યારે બોમ્બ ફોડી દેશે. લોકો સાથે પ્રેમ કરવાના બદલે તે લોકોને ડરાવી રહ્યા છે. એક પ્રધાનમંત્રીએ આવા કામ કરવા જોઈએ નહીં.




તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ કમિટીની સ્ટાર પ્રચારક વિજયા શાંતિએ આ ટિપ્પણી તેલંગાણામાં શમશાબાદમાં એક જનસભાને સંબોધિત કરતા કરી હતી. વિજયા શાંતિએ આ ટિપ્પણી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના જનસભા સંબોધિત કરતાં પહેલાં કરી હતી. આ ટિપ્પણી સમયે રાહુલ ગાંધી ત્યાં હાજર જ હતા.


તેલંગાણામાં જનસભાને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે, મોદી બે ઈન્ડિયા બનાવી રહ્યા છે. એક ગરીબો માટે અને બીજું અમીર લોકો માટે. રાહુલે તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ ઉપર પણ નિશાન સાધ્યું હતું. રાહુલે કહ્યું હતું કે, તમારા સીએમ ઈચ્છે છે કે નરેન્દ્ર મોદી હિન્દુસ્તાનના પીએમ બન્યા રહે. કેસીઆર જીના ભ્રષ્ટાચાર વિશે નરેન્દ્ર મોદી જાણે છે. મોદીના હાથમાં કેસીઆરનું રિમોટ છે.