અમેઠીઃ કોરોનાના કારણે આખા દેશમાં લોકડાઉન છે ત્યારે હજારો મજૂરો અને કર્મચારીઓ પોત-પોતાના વતન પાછા ફરી રહ્યા છે જેને કારણે સરકાર ચિંતિત બની છે. કારણ કે હજારો મજૂરો વતન ફરશે તો ગામડાઓમાં પણ કોરોના ફેલાશે તેવી ચિંતા સરકારને સતાવી રહી છે. આ ડરના કારણે ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લામાં સિંહપુર બ્લોકના પિંડરા ગામને ગ્રામીણોએ જ બ્લોક કરી દીધો છે. લોકોએ કામના રસ્તાને બ્લોક કરી પોસ્ટરો લગાવી દીધા હતા. જેમાં લખ્યું હતું કે, કોરોનાના કારણે ગામમાં બહાના લોકોને પ્રવેશ કરવાની મનાઇ છે. મહેરબાની કહીને સ્વસ્થરહો અને અમને પણ સ્વસ્થ રહેવા દો.


પિંડારામાં બહેલિયા સમાજના લોકો રહે છે. અહીં તમામ ગ્રામીણોએ ગામમાં બહાના લોકોના પ્રવેશ પર પુરી રીતે પ્રતિબંધ લગાવી દીધો છે. ગ્રામીણ શિવ વરદાને કહ્યું કે, આ નિર્ણયમાં તમામ લોકો સહમત છે. અમારા ગામમાં 200 લોકોની વસ્તી છે,તમામને બોલાવીને બેઠક કરી હતી. અમે લોકોએ નિર્ણય લીધો હતો કે અમે જીવતા રહીશું તો આગળ કાંઇ કરી શકીશું. ત્યારબાદ રસ્તા પર બેરિકેડિંગ કરી લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. તે સિવાય ઘરે-ઘરે જઇને ગામના લોકોમાં કોરોના વાયરસને લઇને જાગૃતિ ફેલાવી રહ્યા છીએ.

લોકડાઉનના કારણે મુંબઇ, દિલ્હી જેવા મોટા શહેરોમાંથી લાખો મજૂરો પોતાના વતન પાછા ફરી રહ્યા છે. હાલમાં તમામ ટ્રાન્સપોર્ટેશન બંધ હોવાના કારણે લોકો હજારો કિલોમીટર પગપાળા પણ પોતાના વતન પહોંચી રહ્યા છે.