નવી દિલ્હીઃ અનલોક-5ને લઇને 30 સપ્ટેમ્બરે જાહેર ગાઇડલાઇને કેન્દ્ર સરકારે હવે નવેમ્બરના અંત સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. મંગળવારે કેન્દ્ર સરકાર તરફથી આ અંગેની માહિતી આપવામાં આવી હતી, જેમાં કન્ટેનમેન્ટ ઝોન્સમાં લોકડાઉન 30 નવેમ્બર સુધી યથાવત રહેશે.


કેન્દ્રિય ગૃહ મંત્રાલય થકી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું હતું કે ગાઇડલાઇન હેઠળ કોઇપણ વ્યક્તિ કે સર સામાનને પ્રેદશની અંદર તથા એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં લાવવા-લઇ જવા પર કોઇ પણ પ્રકારનો પ્રતિબંધ નથી. આ માટે કોઇ ખાસ પાસ કે મંજૂરીની જરુરત પણ નહીં રહે.

આ પહેલા 30 સપ્ટેમ્બરે કેન્દ્ર સરકારે અનલોક-5ની ગાઇડલાઇન બહાર પાડી હતી. જે મુજબ 15 ઓક્ટોબર પછી થિએટર્સ, પાર્ક, સ્વિમિંગ પુલ્સ ખોલવાની પરવાનગી આપવામાં આવી હતી. જેમાં ખાસ આદેશ હતો કે સિનેમા હોલ્સ 50 ટકાની ક્ષમતા સાથે જ ખોલવામાં આવે. ગાઇડલાઇન્સ મુજબ શાળાઓ અને કોચિંગ ઇન્સ્ટીટ્યુટને ખોલવા મુદ્દે 15 ઓક્ટોબર પછી રાજ્ય સરકાર સ્થિતિ મુજબ જાતે જ નિર્ણય લેશે જે અંગે વિદ્યાર્થીઓના માતા-પિતાની મંજૂરીની જરુર રહેશે.

આ ગાઈડલાઈનનો અર્થ એવો પણ થશે કે કન્ટેઈનમેન્ટ ઝોનમાં લોકડાઉનનું કડક પાલન થશે પણ કન્ટેઈનમેન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં કામકાજ ફરી શરૂ કરવાની પ્રક્રિયા આગળ વધશે. MHA દ્વારા 24મી માર્ચ,2020ના રોજ લોકડાઉનને લગતો જે પ્રથમ આદેશ જાહેર કર્યો હતો ત્યારથી કન્ટેઈનમેન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં ધીમે ધીમે તમામ પ્રવૃત્તિઓ ખુલ્લી ગઈ છે. મોટાભાગના કામકાજોને મંજૂરી આપવામાં આવી છે, જોકે મોટી સંખ્યામાં લોકો ભેગા કે સામેલ થાય તેવી પ્રવૃત્તિઓને પણ કેટલાક નિયંત્રણો સાથે મંજૂરી આપવામાં આવી છે અને તે આરોગ્ય તથા સ્વાસ્થ્યને લગતી સાવચેતીના સંદર્ભમાં SOPને આધિન છે.