નવી દિલ્હીઃ ભારતીય વાયુ સેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન શુક્રવારે ભારત પરત ફર્યા છે. અંદાજે 60 કલાક દુશ્મનની ધરતી પર વિતાવ્યા બાદ તેણે પોતાની ધરતી પર પગ મુક્યો છે. પાકિસ્તાને વાઘા અટારી બોર્ડર પર રાત્રે અંદાજે 9-20 કલાકે તેમને ભારતને સોંપવામાં આવ્યા. હાલમાં તે દિલ્હીમાં છે અને ઘરે નહીં જઈ શકે. હાલમાં તેમને અનેક ટેસ્ટમાંથી પસાર થવાનું રહેશે, ત્યાર બાદ જ તે ફરીથી વિમાન ઉડાડી શકશે.




વાયુસેનાના નિયમ મુજબ શનિવારે વિંગ કમાન્ડરને ડીબ્રિફિંગ અને બગ સ્કેનિંગમાંથી પસાર થવું પડશે. આ દરમિયાન સેના અને ઇન્ટેલિજન્સ એજન્સીઓના અધિકારી તેમની પૂછપરછ કરશે. ત્યારબાદ મેડિકલ ચેકઅપ થશે. આગળ વાંચો વિંગ કમાન્ડર અભિનંદન કઈ કઈ પ્રક્રિયામાંથી પસાર થશે.



શનિવારે તેમને ડીબ્રિફિંગ થશે. આ દરમિયાન વાયુસેનાના અધિકારી તેમને પાકિસ્તાનમાં પસાર કરેલા સમયને લઈને પૂછપરછ કરશે. વાયુસેના ઇન્ટેલિજન્સની ડીબ્રીફિંગ ખૂબ જ આકરું હોય છે. ખાસ વાત એ છે કે વાયુસેના નિયમો મુજબ આ અનિવાર્ય છે. તેમાં જાણવામાં આવે છે કે દુશ્મને કેદ દરમિયાન તેમની પાસેથી કઈ-કઈ જાણકારીઓ મેળવી. એ વાતનો વિશ્વાસ આપવો પડશે કે દુશ્મન દેશની સેનાએ તેમને પોતાની સેનામાં સામેલ તો નથી કર્યા. ત્યારબાદ વિંગ કમાન્ડરને અનેક પ્રકારના મેડિકલ ટેસ્ટમાંથી પસાર થવું પડશે. જેમાં ફુલ બોડી ચેકઅપ સામેલ છે.



બાદમાં અભિનંદનનું સ્કેનિંગ થશે. જેમાં એ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે કે પાકિસ્તાની આર્મીએ ક્યાંક તેમની પર કોઈ બગ તો નથી ફિટ કર્યા ને. વિંગ કમાન્ડરનો સાઇોકલોજિકલ ટેસ્ટ પણ કરવામાં આવશે. કારણ કે તેઓ દુશ્મનની ધરતી પર એકલા પકડાયા હતા. તેમને ત્યાં બંદી તરીકે રાખવામાં આવ્યા. એ વાતની આશંકા છે કે રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત ગુપ્ત જાણકારીઓ માટે તેમને માનસિક અને શારીરિક રીતે ત્રાસ આપવામાં આવી હોઈ શકે છે. તેનાથી તેમને આઘાત લાગ્યો હોય. એ જાણવું જરૂરી હશે કે તેમની માનસિક સ્થિતિ હાલ કેવી છે? આ ઉપરાંત વિંગ કમાન્ડરથી ઇન્ટેલિજન્સ બ્યૂરો (IB) અને રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) પણ અલગથી પૂછપરછ કરી શકે છે. જોકે, તેની શક્યતાઓ ઓછી લાગી રહી છે.