નવી દિલ્હી: શહેરી પર્યાવરણને વધુ સારું બનાવવા માટે કેન્દ્ર સરકારે શહેરમાં જંગલ વિસ્તાર વધારવા માટે યોજના લાવી છે. 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ પર કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે આ કાર્યક્રમની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમને દેશના 200 શહેરની નગરપાલિકામાં લોન્ચ કરવામાં આવશે અને આગામી પાંચ વર્ષમાં નગર વન વિકસિત કરવામાં આવશે.


શહેરી વન કાર્યક્રમને લોન્ચ કરતી વખતે જાવડેકરે કહ્યું કે, દેશના શહેરોમાં પણ જંગલ વધારવાની જરૂર છે. આપણા ગ્રામીણ વિસ્તારોમાં તો જંગલ છે, પરંતુ શહેરી વિસ્તારમાં વધારે નથી. કેટલાક શહેરમાં 2-3 જંગલ છે, પરંતુ આપણને વધારવાની જરૂર છે. ”



કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર આ કામ માટે ફંડિંગમાં મદદ કરશે. જાવડેકરે કહ્યું, “શહેરમાં બગીચા છે પરંતુ જંગલ નથી. આપણે જંગલનું નિર્માણ કરવું પડશે, તેથી અમે દેશના 200 શહેરી નિગમોમાં શહેરી વન્ય કાર્યક્રમની શરૂઆત કરી રહ્યાં છે. ” તેઓએ કહ્યું, હું સૌને અપીલ કરું છું કે બધા સાથે મળીને આ કામ કરીએ. આપણે પીપીપી મોડ અને જનતાની ભાગીદારીથી આ શહેરોને સારા જંગલો માટે ઈનામ આપવાનું વિચારી રહ્યાં છે.

ભારતમાં વિશ્વની 8 ટકા જૈવ વિવિધતા છે. ભારતમાં દુનિયાની 16 ટકા આબાદી છે અને એટલી જ આબાદી પાલુત પ્રાણીઓની છે, પરંતુ માત્ર 2.5 ટકા જમીન અને 4 ટકા પ્રાકૃતિક જળ સ્ત્રોત છે, તેમ છતાં દેશમાં જૈવ વિવિધતાનું સ્તર યથાવત છે.