મુંબઈઃ કોરોનાવાયરસ સામે લડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાવેલા પીએમ-કેર્સ ફંડમાં ફિલ્મ સ્ટાર અક્ષય કુમારે 25 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. એ પછી બીજા સ્ટારે કેટલું દાન કર્યું એ સવાલ પૂછાઈ રહ્યો છે ત્યારે હવે બોલીવુડની વધુ એક સેલિબ્રિટીએ 12 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. ભૂષણ કુમારે મહારાષ્ટ્ર સરકારને પણ એક કરોડ રૂપિયાનું આપવાનું નક્કી કર્યું છે.


ભારતની ટોચની મ્યુઝિક કંપની ટી સીરીઝના માલિક અને ફિલ્મ નિર્માતા ભૂષણ કુમારે પીએમ રિલીફ ફંડમાં 11 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. ભૂષણ કુમારે રૂપિયા 11 કરોડ પ્રાઇમ મિનિસ્ટરના સિટિઝન અસિસ્ટન્સ ઍન્ડ રિલીફ ઇન ઇમર્જન્સી સિચુએશન ફન્ડ (પીએમ-કેર્સ)માં દાન કરવાનો નિર્ણય લીધો છે.

દેશમાં ફેલાયેલા કોરોના વાઇરસ સામે લડવા માટે સરકારને સેલિબ્રિટીઝ આર્થિક મદદ કરે એવી અપીલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. મોદીએ સૌને આ દિશામાં યથાશક્તિ મદદ કરવાની વિનંતી કરી છે.

ભૂષણ કુમારે ટ્વીટ કર્યું હતું કે, હાલમાં આપણે સૌ ખરેખર કપરી સ્થિતિમાં મૂકાયા છીએ અને આ સંજોગોમાં ખૂબ અગત્યનું છે કે આપણે આપણી ક્ષમતા પ્રમાણે મદદ કરીએ. હું મારા ટી-સિરીઝના પરિવાર સાથે મળીને 11 કરોડ પીએમ-કૅર્સ ફન્ડમાં આપવાનું નક્કી કરું છું. આપણે સૌએ સાથે મળીને આ લડાઈ જીતવાની છે. સાથે જ સમયની માગને જોતાં મેં સીએમના રિલીફ ફન્ડમાં મારા ટી-સિરીઝના પરિવાર સાથે મળીને એક કરોડ રૂપિયા આપવાનો નિર્ધાર લીધો છે. આશા રાખું છું કે આ સંકટની ઘડીમાંથી આપણે જલદી જ બહાર આવી જઈશું. ઘરમાં રહો, સલામત રહો. જય હિન્દ.