Jamanagar: જામનગરના જામ સાહેબ શત્રુશલ્યસિંહજીએ શુક્રવારે તેમના વારસદારની જાહેરાત કરી. તેણે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર અજય જાડેજાને તેના વારસદાર તરીકે પસંદ કર્યા. આ દરમિયાન શત્રુશલ્યસિંહજીએ કહ્યું કે, મને ખુશી છે કે અજય જાડેજા નવાનગરના નવા જામ સાહેબ હશે. મને લાગે છે કે આ જામનગરની જનતા માટે આશીર્વાદરૂપ સાબિત થશે. ભૂતપૂર્વ ક્રિકેટર અજય જાડેજા જામનગરના જ છે અને નવાનગર રજવાડા સાથે સંબંધ ધરાવે છે. તેઓ પહેલાથી જ જામ સાહેબ શત્રુશલ્યસિંહજીની નજીક હતા અને એવું માનવામાં આવતું હતું કે તેઓ નવા જામ સાહેબ હશે.



કેવો રહ્યો છે વારસદારનો ઇતિહાસ? 


હાલના જામ સાહેબ શત્રુશલ્યસિંહજી નિઃસંતાન છે, આ કારણે તેમને તેમના વારસદારની પસંદગી કરવી પડી, જે તેમણે અજય જાડેજાના રૂપમાં કરી. જામ સાહેબ શત્રુશલ્યસિંહજીના પિતા દિગ્વિજય સિંહ હતા જેઓ 33 વર્ષ સુધી જામ સાહેબ રહ્યા. તેમના કાકા રણજીતસિંહજીએ તેમને દત્તક લીધા હતા અને તેમના વારસદાર બનાવ્યા હતા. ભારતીય ક્રિકેટની સ્થાનિક સ્પર્ધા રણજી ટ્રોફી જામ સાહેબ રણજીત સિંહના નામે રમાય છે. રણજીતસિંહજી જાડેજા આઝાદી પહેલા ભારતીય ક્રિકેટના શ્રેષ્ઠ બેટ્સમેન ગણાતા હતા. 


અજય જાડેજા રણજીતસિંહજી અને દિલીપસિંહજીના પરિવારમાંથી આવે છે અને શુક્રવારે તેમને સત્તાવાર રીતે વારસદાર જાહેર કરવામાં આવ્યા હતા. મહાન ક્રિકેટર કેએસ રણજીતસિંહજી 1907 થી 1933 સુધી નવાનગરના શાસક હતા. રણજી ટ્રોફી અને દુલીપ ટ્રોફી રણજીત સિંહ અને કેએસ દિલીપ સિંહના નામ પર રાખવામાં આવી છે. શત્રુશલ્યસિંહજી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર પણ હતા અને નવાનગરના મહારાજાનું બિરુદ મેળવનાર છેલ્લા વ્યક્તિ હતા.


અજય જાડેજા લાંબા સમયથી ભારતીય ટીમનો ભાગ રહ્યા હતા 


અજય જાડેજા ભારતીય ક્રિકેટ ટીમના શ્રેષ્ઠ ખેલાડી રહ્યા છે. તે 1992 થી 2000 સુધી ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ હતા અને વાઈસ-કેપ્ટન પણ હતા. ભારત માટે 15 ટેસ્ટ મેચ અને 196 ODI મેચ રમનાર 53 વર્ષીય જાડેજા જામનગરના રાજવી પરિવારના વંશજ છે. મેચ ફિક્સિંગમાં તેનું નામ આવ્યા બાદ તેના પર ક્રિકેટ રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. 2003માં દિલ્હી હાઈકોર્ટે તે પ્રતિબંધ હટાવી લીધો હતો પરંતુ તે પછી જાડેજા ક્રિકેટ રમી શક્યા ન હતા. તે IPLમાં અલગ-અલગ ટીમો માટે મેન્ટર રહ્યા હતા. તાજેતરમાં તેણે અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમને કોચિંગ આપ્યું હતું.