બનાસકાંઠાઃ  પાલનપુરના ધાણધા ગામે પત્ની રિસાઈને પિયર જતા પિતાએ માસૂમ પુત્રીને કૂવામાં ફેંકી દીધી હતી. કૂવામાં ફેંકેલી 12 માસની પુત્રીને સારવાર માટે ખસેડવામાં આવી છએ. પાલનપુર તાલુકા પોલીસ મથકે પત્નીએ પતિ રમેશ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી છે. 


આ અંગેની વિગતો એવી છે કે, અમીરગઢના થળા ગામના ઉર્મિલાબેન ચૌહાણ અને પતિ રમેશ ચૌહાણ વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હતા. દરમિયાન ગઈ કાલે શુક્રવારે પતિ-પત્ની વચ્ચે ફરીથી તકરાર થતાં ઉર્મિલાબેન 12 માસની દીકરીને લઈ બહેનના ઘરે આવી ગયા હતા. બીજી તરફ પતિ રમેશ પણ ત્યા આવી ગયો હતો અને મારી દીકરી મને આપી દે તેમ કહી દીકરીને લઈને જતો રહ્યો હતો. 


ખૂદ પિતાએ જ માસુમ દીકરીને કૂવામાં ફેંકી દેતા આખા ગામમાં ચકચાર મચી ગઈ હતી.  હાલમાં બાળકીને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જે હાલમાં સારવાર હેઠળ છે. ઘટનાની જાણ થતાં બાળકીની માતા અને તેના બહેન બનેવી સહિતના આવી પહોંચ્યા હતા અને દીકરીને  પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી. જે હાલમાં સારવાર હેઠળ છે. આ બાબતે પાલનપુર તાલુકા પોલીસ મથકે ઉર્મિલાબેને તેમના પતિ રમેશભાઈ ધનાભાઇ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય એક ઘટનાની વાત કરીએ તો, વાઘોડિયાના કોટંબી ગામે પિતાએ પુત્રની કુહાડીના ઘા મારીને હત્યા કરી નાંખતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર જાગી છે. સાંજે જમતી વખતે પિતા પુત્રની સામાન્ય બોલાચાલી થતાં ઊશ્કેરાયેલ પુત્રે બાપને બે ચાર લાત મારી દીધી હતી. પિતાએ લાતની અદાવત રાખી રાત્રીના બારેક વાગ્યે પુત્રને કુહાળીના ઘા માર્યા હતા. 


નિંદર માણતા પુત્રને કુહાળીના ચાર- પાંચ ઘા મારતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. પુત્રનુ ઢીમ ઢાળી પિતા ફરાર થઈ ગયા હતા. જોકે, વાઘોડિયા પોલીસે હત્યારા પિતાને શોઘવા ચાર ટીમ બનાવી હતી અને વડોદરા બાયપાસ પાસેના ખેતરમા છુપાયેલ પિતાને દબોચી લેવાયો છે. 
વાઘોડિયા પોલીસે હત્યારા પિતાની પુછપરછ આરંભી છે.