મહેસાણાઃ ગઈ કાલે સોમવારે સવારે કડી તાલુકાના કરણનગર સ્થિત નર્મદા કેનાલમાં કારના ચાલકે કાબૂ ગુમાવતાં લોખંડની રેલિંગ તોડી કાર કેનાલમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં કારમાં સવાર પાંચ કિશોર-કિશોરીઓ પૈકી એક કિશોરીનો બચાવ થયો હતો. જ્યારે એક કિશોરી અને બે કિશોર સહિત ત્રણની લાશ મળી આવી હતી. જ્યારે એક કિશોર હજુ લાપતા છે.


કાર ખાબક્યાની જાણ થતાં રાહદારી ખેડૂત દંપતી ત્યાં દોડી ગયું હતું અને અરબીના નામની સગીરાને બચાવી લીધી હતી. આ પછી સ્થાનિક તરવૈયાઓ અને કડી સહિતના ફાયર બ્રિગેડની ટીમોની 7 કલાકની ભારે જહેમત બાદ 3 લાશો બહાર કાઢી પીએમ માટે કડી સરકારી હોસ્પિટલ મોકલી અપાઇ હતી. કિશોરીની લાશ કારમાંથી મળી આવી હતી.

નંદાસણના વતની અને કડી તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ મીરસાબમીયા સૈયદના પુત્ર અહેમદહુસેન સૈયદ ઉર્ફે સરપંચની દીકરી અરબીના તેના ચાર મિત્રો સાથે સોમવારે કાર લઈને કડી ઉચ્ચ અભ્યાસ માટેની પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ગઇ હતી. ફોર્મ ભર્યા બાદ સવારે 10-30 વાગ્યાના અરસામાં તેઓ કડીથી કરણનગર સ્થિત નર્મદા કેનાલ પર ફરવા નીકળ્યા હતા. તેઓ કચ્છ તરફની મુખ્ય કેનાલ પાસ કરીને સૌરાષ્ટ્ર તરફની મુખ્ય કેનાલ તરફ જઈ રહ્યા હતા, ત્યારે એકાએક ચાલકે કારના સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બેકાબૂ બનેલી કાર રોડની બાજુમાં આવેલી લોખંડની રેલિંગ તોડી કેનાલમાં ખાબકી હતી. કાર પાણીમાં ખાબકી હતી.

કાર કેનાલમાં ખાબકવાનો અવાજ સાંભળી આસપાસથી લોકો દોડી આવ્યા હતા. તેમજ એક સગીરાને બચાવી લેવામાં આવી હતી. જોકે, એક સગીરા અને બે સગીર મળી ત્રણના મોત થયા છે. તેમજ એકની શોધખોળ ચાલું છે.