Mehsana News: દિવાળીના તહેવારોની વચ્ચે હવે લૂંટની ઘટનાથી મહેસાણામાં ચકચાર મચી ગઇ છે, દિવાળીના દિવસોમાં લોકો હરવા ફરવા માટે બહાર જાય છે, આવામાં ચોર ટોળકીને મહેસાણામાં આ તકનો લાભ લઇને બે ઘરોમાં લૂંટ ચલાવી છે જેમાં 6 લાખથી વધુની મત્તાની ચોરી કરવામાં આવી છે. 


મળતી માહિતી પ્રમાણે, દિવાળીની રજાઓના માહોલમાં મહેસાણા જિલ્લામાં એક પછી એક બે ચોરીની મોટી ઘટનાઓથી લોકોમાં ભય ફેલાયો છે. ફરી એકવાર મહેસાણામાં તસ્કરોનો આંતક વધ્યો છે. હાલમાં માહિતી છે કે, પરિવારો દિવાળીનું વેકેશન માણવા ફરવા ગયા હોય અને તસ્કરોએ ઘરનુ તાળું તોડી દીવાળી મનાવી લીધી છે. જિલ્લાના વિસનગર શહેરમાં બે મકાનનોના તાળા તોડીને લૂંટારૂ ટોળકીએ લાખોની ચોરી કરી લીધી છે. વિસનગરની રિદ્ધિ સિદ્ધિ સોસાયટીના બંધ મકાનમાં આ લાખોની ચોરીની ઘટના ઘટી છે. પરિવાર દિવાળીના વેકેશનમાં ફરવા ગયુ હતુ આ દરમિયાન તસ્કરોએ ઘરને નિશાન બનાવ્યું, મકાનનુ તાળું તોડી ચોરો સોનાના ઘરેણાં અને કેટલીય રોકડ રકમ ચોરીને ફરાર થઇ ગયા હતા. આમાં કુલ ૬.૧૮ લાખની ચોરી થઇ હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત જિલ્લાના ઉમતા ગામે પણ બીજા એક બંધ મકાનમાં ચોરી થઇ હતી. અહીં પણ તસ્કરોએ બંધ મકાનનુ તાળું તોડી ૩.૯૪ લાખની ચોરી કરી અને બાદમાં તસ્કરો ફરાર થઇ ગયા હતા. 


ફટાકડાં ફોડવા બાબતે હિંમતનગરમાં બબાલ, સાત શખ્સોએ વૃદ્ધને ફટકાર્યો, વૃદ્ધનું મોત


દિવાળીના તહેવારોમાં વધુ એક હત્યા થયાના સામાચાર હિંમતનગરમાંથી સામે આવી છે. અહીં એક ગામમાં સાત લોકોએ ફટાકડા ફોડવા બાબતે વૃદ્ધને ફટકાર્યો જે પછી વૃદ્ધનું મોત થયુ હતુ. હાલમાં પોલીસે આ સાતેય આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા છે. મળતી માહિતી પ્રમાણે, તાજેતરમાં રાજ્યમાં ઠેર ઠેર દિવાળીનો માહોલ છે, પરંતુ દિવાળીમાં ફટાકડા ફોડવા બાબતે હિંમતનગરના એક ગામમાં બબાલ હત્યામાં પરિણામી છે. સાબરકાંઠાના હિંમતનગરના નવા ગામે એક વૃદ્ધનુ ફટાકડા ફોડવા બાબતે હત્યા કરાઇ છે. ખરેખરમાં, નવા ગામે બે દિવસ અગાઉ રાત્રિના સમયે ફટાકડા ફોડવા બાબતે બબાલ થઇ હતી, જેમાં સાત શખ્સોએ એકાએક એક વૃદ્ધ પર હુમલો કરી દીધો હતો, વૃદ્ધને માર મારવાથી તેમની હાલત ગંભીર થઇ હતી, જે પછી વૃદ્ધને આજુબાજુના લોકોએ ભેગા થઇને વૃદ્ધને સિવિલ હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો, જ્યાં સિવિલ હૉસ્પીટલના તબીબોએ વૃદ્ધને મૃત જાહેર કર્યો હતો. જોકે, આ હત્યાની ઘટના બાદ મૃતકની દીકરીએ હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સાતેય શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે આ સાતેયની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા હતા, આ પછી કોર્ટ જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.


નવા વર્ષે ભાવનગરમાં યુવકની હત્યા


નવા વર્ષ પર ભાવનગરમાં ખૂની ખેલ ખેલાયો હતો. મળતી જાણકારી અનુસાર, પાલિતાણાના હણોલ ગામમાં જગદીશ સરવૈયા નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. જગદીશ તેના ભાઇની લગ્નની કંકોત્રી આપવા નીકળ્યો હતો ત્યારે વાળુકડ ગામે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેની હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે જગદીશની હત્યા કોર્ટમાં જુબાની આપવાના કારણે કરવામાં આવી હતી. વાસ્તવમાં સુરતમાં 2 વર્ષ પહેલા જગદીશના મિત્રની હત્યા થઇ હતી જે કેસમાં જગદીશે કોર્ટમાં જુબાની આપી હતી. જેના કારણે તેની હત્યા કરી દેવામાં આવી હોવાનું માનવામાં આવ્યું હતું. પોલીસે આ મામલે છ જણા સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.