મહેસાણા:  તરેટી ગામના સરપંચ, ઉપ સરપંચ અને ચાર સભ્યો મળી કુલ છ લોકોને જીલ્લા વિકાસ અધિકારીએ હોદા ઉપરથી કરતા ચકચાર મચી છે. તરેટી ગામની ગોચરની જમીનનો ગેર કાયદેસર ઠરાવ કરી વાણીજ્ય હેતુ માટે આપતા આ મુદ્દે ગામના એક વ્યક્તિએ જીલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરી હતી, જેને પગલે સરપંચ, ઉપ સરપંચ સહીત છ સભ્યોને પોતાના હોદ્દા ઉપરથી દુર કરાયા હતા. હાલમાં આ મુદ્દો સમગ્ર પંથકમાં ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે. તો બીજી તરફ ઘણા લોકો જિલ્લા વિકાસ અધિકારીની આ કામગીરીની પ્રશંસા પણ કરી રહ્યા છે.


ગામ પંચાયતની સભામાં એક ઠરાવ કર્યો હતો


મહેસાણા જીલ્લાનું તરેટી ગામ જ્યાં ગામના સરપંચ, ઉપ સરપંચ અને અન્ય સભ્ય મળી તારીખ ૧૭/૬/૨૦૨૨ના રોજ મળેલ ગામ પંચાયતની સભામાં એક ઠરાવ કર્યો હતો. જેમાં ગામની ગોચર જમીન સર્વે નંબર ૭૩માં બાબુભાઈ ચોધરીના પાર્ટી પ્લોટ માટે ૧૫ મીટરનો રસ્તો આપવા ઠરાવ કરાયો હતો અને પંચાયતના સરપંચે, ઉપ સરપંચ અને અન્ય ચાર હોદેદાર સાથે મળી રસ્તો પણ આપી દીધી હતો.


ગોચર જમીનનો ગોચર સિવાય અન્યને ફાળવણીનો અધિકાર પંચાયતના સભ્યો પાસે નથી


જેને લઇ ગામ પંચાયતના મહિલા સભ્યના પતિ ભરતભાઈ રાણાએ જીલ્લા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરી હતી. જે બાદ જીલ્લા વિકાસ અધિકારીએ તપાસના આદેશ આપ્યા હતા. જોકે  પંચાયત અધિનયમ મુજબ ગોચર જમીનનો ગોચર સિવાય અન્યને ફાળવણીનો અધિકાર પંચાયતના સભ્યો પાસે નથી. તેમ છતાં સરપંચ, ઉપ સરપંચ અને ચાર સભ્યોએ ભેગા મળી આ જમીન પાર્ટી પ્લોટના રસ્તા માટે ફાળવતા જીલ્લા વિકાસ અધિકારીએ ગામના સરપંચ મુકેશભાઈ પટેલ, ઉપ સરપંચ અરજણજી ઠાકોર, પંચાયત સભ્ય લાછુંબેન ઠાકોર, જાગૃતિબેન ઠાકોર, નીતાબેન ઠાકોર, કાનજીભાઈ રબારીને પોતાના હોદા ઉપરથી દુર કરવાનો હુકમ જીલ્લા વિકાસ અધિકારીએ કર્યો છે.


આ જમીનની કીમત કરોડોની છે


ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ ૫૭[૧] મુજબ દુર કરતા ગામ પંચાયત વિવાદમાં આવી છે. જોકે તળેટી ગામ મહેસાણની બિલકુલ બાજુનું ગામ છે. તેમજ મહેસાણા ઉંઝા હાઇવે ઉપર તેની ગોચર જમીન આવેલ છે, જે જમીન પર મોટા પાયે દબાણ થયું છે. જોકે આ જમીનની કીમત કરોડોની છે ત્યારે આ જમીનને લઇ વિવાદ રહ્યા કરે છે.