નિર્મલા સીતારમણે બજેટમાં આવકવેરામા કોઈ ફેરફાર ના કરતાં નોકરિયાત-મધ્યમ વર્ગમાં નિરાશા, જાણો વર્તમાન સ્લેબ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Feb 2021 12:55 PM (IST)
નાણાં મંત્રી નિર્મલા સીતારમણ આવકવેરા મુક્તિ મર્યાદામા વધારો કરશે એવી આશા હતી પણ એવી કોઈ જાહેરાત કરાઈ નથી. આવકવેરાના સ્લેબ તથા બીજા તમામ નિયમો યથાવત રખાયા છે.
નવી દિલ્લીઃ નાણાં મંત્રી નિર્મલા સીતારમણે નાણાંકીય વર્ષ 2021-22ના સામાન્ય બજેટમાં આવકવેરા અંગે કોઈ મોટી જાહેરાત કરી નથી. નાણાં મંત્રી નિર્મલા સીતારમણ આવકવેરા મુક્તિ મર્યાદામા વધારો કરશે એવી આશા હતી પણ એવી કોઈ જાહેરાત કરાઈ નથી. આવકવેરાના સ્લેબ તથા બીજા તમામ નિયમો યથાવત રખાયા છે. નિર્મલા સીતારમણ દ્વારા ગયા વર્ષે બજેટમાં નવી ઈન્કમ ટેક્સ વ્યવસ્થા રજૂ કરવામાં આવી હતી. આ વ્યવસ્થામાં સાત ટેક્સ સ્લેબ બનાવવામાં આવ્યા હતા. આ સાત સ્લેબ 0 ટકા, 5 ટકા, 10 ટકા, 15 ટકા, 20 ટકા, 25 ટકા અને 30 ટકાના હતા જ્યારે જુના ટેક્સ નિયમમાં 0 ટકા, 5 ટકા, 20 ટકા અને 30 ટકા એમ ચાર સ્લેબ છે. નવી ઈન્કમ ટેક્સ વ્યવસ્થામાં 5 લાખથી 15 લાખ રૂપિયાની વચ્ચેની આવક પર ટેક્સના દર ઓછા હતા પણ તેમાં તેમાં કોઈ છૂટ મળતી નહોતી. નવી ટેક્સ વ્યવસ્થામાં સેક્શન 80C અને સેક્શન 80CCA(ડિપોઝીટ અન્ડર નેશનલ સેવિંગ સ્કીમ) અંતર્ગત ઈન્વેસ્ટમેન્ટ પર મળનારી છૂટને સામેલ કરવામાં આવી નથી. તેમાં અલગ-અલગ પ્રકારની 70 છુટ અને ડિડક્શન(કાપ)ને ખત્મ કરવામાં આવ્યા છે. જૂની ટેક્સ સિસ્ટમમાં EPF, PPF, મ્યુચ્યુઅલ ફન્ડ, LIC સહિત અન્ય ટેક્સ સેવિંગ યોજનાઓ કે ડિપોઝિટ પર છૂટ આપવામાં આવે છે. નવી વ્યવસ્થામાં તેનો ફાયદો મળતો નથી.