ગુજરાતમાં રાજકારણ  ક્ષેત્રે આગામી સમયમાં મોટા સમાચાર આવી શકે એમ છે.  ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી વચ્ચે ગઠબંધન થશે અને આવનારા થોડાક જ દિવસોમાં BTP અને AAPના ગઠબંધનની સત્તાવાર જાહેરાત રીતે થઈ શકે છે. BTPના ધારાસભ્ય છોટુ વસાવાએ આ અંગે એક સૂચક નિવેદન આપતા કહ્યું કે ગુજરાતમાં AAP અને BTP ભાજપ અને કોંગ્રેસનો બાપ બનીને આવશે. 


ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. હાલમાં દેશમાં યોજાયેલી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં પંજાબમાં આમ આદમી પાર્ટીએ ભવ્ય જીત મેળવી ત્યાં સરકાર બનાવી છે. હવે આમ આદમી પાર્ટીની નજર ગુજરાતમાં આવનારી વિધાનસભા ચૂંટણી પર છે. આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની અત્યારથી જ શરૂઆત કરી દીધી છે. આ સાથે જ ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી વચ્ચે ગઠબંધન થઇ શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. 


ગત મહિને 25 માર્ચે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા અને આપ નેતા ઈસુદાન ગઢવીએ ભારતીય ટ્રાઇબલ પાર્ટીના નેતા છોટુ વસાવા સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં ગોપાલ ઈટાલીયાએ છોટુ વસાવાને આપમાં જોડાવવા આમંત્રણ આપ્યું હતું. આ બેઠક બાદ એવું કહેવામાં આવી રહ્યું હતું  કે આવનારા સમયમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી વચ્ચે ગઠબંધન થઇ શકે છે. ત્યારબાદ  ભારતીય ટ્રાઇબલ પાર્ટીના નેતા છોટુ વસાવા દિલ્હીમાં આમ આદમી પાર્ટીના સંયોજક તેમજ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને પણ મળ્યા હતા. 


ગુજરાતમાં  AAP અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની  કેટલી શક્યતા?
2015માં દિલ્લીમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું હતું. જો કે કેજરીવાલના રાજીનામાં બાદ એ સરકાર પડી ભાંગી અને સાથે  AAP અને કોંગ્રેસનું ગઠબંધન પણ તૂટી ગયું. દિલ્લીમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન થયેલા  AAP અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન પરથી એ પણ પ્રશ્ન થાય કે ગુજરાતમાં  AAP અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની  કેટલી શક્યતા? ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ભાજપને હરાવવા ભાજપ વિરોધી તમે પક્ષો સાથે આવી ગઠબંધન ખાતે તેવી પણ શકયતા છે.