ભાવનગરઃ સૌરાષ્ટ્રમાં એક માત્ર ભાવનગર જિલ્લો એવો છે, જ્યાં કોરોનાના કેસો 100ને પાર ગયા છે. આ ભાવનગર જિલ્લાના લોકો માટે આજે રાહતના સમાચાર આવ્યા છે. વાત એવી છે, ભાવનગરમાં આજે એક સાથે 17 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. સરકારની ગાઈડ લાઈન પ્રમાણે 17 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે.


નોંધનીય છે કે, અત્યાર સુધીમાં 66 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. આજે જે 17 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા, તેમાં 5 આશાવર્કર બહેનોનો પણ સમાવેશ થાય છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 102 પોઝિટિવ કેસો નોંધાયા છે. જેમાંથી 7 લોકોના મોત થયા છે. જ્યારે હવે 30 લોકો સારવાર હેઠળ છે.

સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર પછી સૌથી વધુ કેસ રાજકોટ જિલ્લામાં છે. અહીં કુલ 68 કેસ નોંધાયા છે. જેમાંથી મોટા ભાગના દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે જતાં રહ્યા છે. તેમજ 3 જ લોકો હવે સારવાર હેઠળ છે. હવે આ જિલ્લો ગમે ત્યારે કોરોનામુક્ત બની શકે છે. સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં અમરેલીમાં એક કેસ, બોટાદમાં 56 કેસ, દેવભૂમિ દ્વારકામાં 12 કેસ, ગીર સોમનાથમાં 18 કેસ, જામનગરમાં 22 કેસ, જૂનાગઢમાં 4 કેસ, મોરબીમાં બે કેસ, પોરબંદરમાં 4 કેસ અને સુરેન્દ્રનગરમાં 3 કેસ છે.