અમદાવાદ: હાલ ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સર્કિય થતાં સમગ્ર ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રવિવારે સવારથી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જોકે ગુજરાતમાં સૌથી વધુ વરસાદ રાજકોટમાં નોંધાયો છે. 7 કલાકમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો છે જેના કારણે શહેરીજનોની હાલત ખરાબ જોવા મળી હતી.

રાજકોટમાં મોડીરાતથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સવારના સાત વાગ્યા સુધી સત્તાવાર રીતે કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે 7 ઈંચથી પણ વધારે વરસાદ ખાબક્યો છે. આંકડા પ્રમાણે રાત્રે 12 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી રાજકોટમાં 185 મીમી વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે લક્ષ્મીનગરનું નાળું અને પોપટપરા બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં રવિવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. લોધિકા, જેતપુર, જસદણ, પોરંબદર, ગોંડલ, જૂનાગઢ, ઉપલેટા, સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સૌરાષ્ટ્રના ગઢડા તેમજ સાલનગપુરામાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. લાંબા વિરામ બાદ વરસાદ પડતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો. મોરબીમાં ધોધમાર વરસાદ નોંધાયો છે.

અમરેલી જિલ્લામાં ભાદરવામાં મેઘમહેર થઇ હતી. બાબરા, લાઠી, દામનગર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. અમરેલીના વીરડીમાં ધોધમાર વરસાદ અંદાજીત બે કલાક માં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના દિયોદરમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. આ ઉપરાંત પાલનપુર, ડિસા, અંબાજી સહિત વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. પાટણ, સિદ્ધપુર, ઊંઝામાં પણ વરસાદ પડ્યો નોંધાયો હતો. સાબારકાંઠામાં હિંમતનગર, પ્રાંતિજ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.

અરવલ્લી જિલ્લાના શામળાજી, મોડાસા, બાયડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. છેલ્લા 24 કલાકમાં અરવલ્લીના મોડાસા અને ભિલોડામાં 2 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે ધનસુરા, મેઘરજ અને માલપુરમાં એક-એક ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે અરવલ્લી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં અંદાજે 3 ઈંચ જેટલો વરસાદ જોવા મળ્યો હતો.

અમરેલીના સાવરકુંડલા તાલુકના શેલાણા ઠવી, વીરડીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. બે કલાકમાં આશરે દોઢ ઇંચ વરસાદ વરસતા ગામના રોડ રસ્તાઓ ઉપર પાણી ભરાયા હતા.

ગુજરાતમાં અત્યાર સુધીનો 95 ટકા વરસાદ નોંધાયો છે અને હજુ પણ સારો વરસાદ થવાનું હવામાન વિભાગનુ અનુમાન છે. ચોમાસાની સિઝનના હજુ પણ 30 દિવસ બાકી છે. ચાલુ વર્ષે સારો વરસાદ થવાના કારણે મોટા ભાગના જળાશયો ભરાય ગયા છે. તો જળસ્તર ઉચા આવવાના કારણે કુવાઓમાં પણ નવા નીરની આવક થતા ખેડુતો ખુશ છે.