રાજકોટઃ ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા માગ કરવામાં આવી છે. ધોરણ 1 થી 5 ના વર્ગો શરૂ કરવા શિક્ષણ મંત્રીને રજુઆત કરવામાં આવી છે. કોરોનાના કેસ ઘટતા હવે સ્કૂલો શરૂ કરવા વાલીઓ માંગ કરતા હોવાનું ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ જતીન ભરાડે જણાવ્યું હતું. જોકે, આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, ધો. 1 થી 5ની શાળા શરૂ કરવા આરોગ્ય વિભાગે નથી આપ્યો અભિપ્રાય. બાળકોના આરોગ્યને અનુલક્ષીને અભિપ્રાય અપાશે.

Continues below advertisement


ઓનલાઈન શિક્ષણથી નાના બાળકોને અસરો જોવા મળે છે. ઓફલાઈન શિક્ષણના અનેક ફાયદાઓ છે. બાળકો મોબાઈલના ગેરઉપયોગ કરી રહ્યા છે. બે વર્ષમાં બાળકોના જીવન પર અનેક અસરો થઈ છે. બાળકો ઉગ્ર થઈ ગયા હવે નાના બાળકો માટે સ્કૂલો શરૂ થવી જોઈએ. ઉલ્લેખનીય છે કે 6 થી 12 ધોરણના વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે. આજે 95 ટકા વિદ્યાર્થીઓ સ્કૂલે આવતા થયા છે. સાથે 1 થી 2 ધોરણના વિદ્યાર્થીઓ ક્યારેય સ્કૂલે ગયા જ નથી તો વહેલી તકે સ્કૂલો શરૂ થવી જોઈએ. જેથી નાના બાળકોનો પાયો પાકો થઈ જાય.


નોંધનીય છે કે, 2 સપ્ટેમ્બરથી ધોરણ 6થી 8ના (Offline Classes) વર્ગ શરૂ થઈ ગયા છે. રાજ્યમાં કોરોનાની સ્થિતિ સુધરતા સરકારે 15 જુલાઈથી તબક્કાવાર શિક્ષણકાર્ય અનલોક કર્યું છે. જે અંતર્ગત કોલેજો અને ધોરણ 12ની સ્કૂલો (Offline Classes) શરૂ કરાયા બાદ ધોરણ નવથી 11ની સ્કૂલ (Offline Classes) શરૂ કરવામાં આવી હતી. ત્યાર બાદ 2 સપ્ટેમ્બરથી રાજ્યની તમામ બોર્ડની તમામ સરકારી અને ખાનગી સ્કૂલોમાં ધોરણ છથી આઠના વર્ગોમાં (Offline Classes) શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.


સ્કૂલો માટે તકેદારીના ભાગરૂપે જાહેર કરાયેલ શિક્ષણ વિભાગની એસઓપી મુજબ વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત રહેશે અને ઓનલાઈન (Online Classes) શિક્ષણ પણ ચાલુ રાખવાનું રહેશે. તેમજ વિદ્યાર્થીઓને વાલીની લેખિત સંમિત બાદ જ બોલાવવાના રહેશે. આ ઉપરાંત સ્કૂલ કેમ્પસમાં બાળકો એકઠા ન થાય અને આવતા જતા સમયે એક સાથે ટોળામાં ન જાય તેનું ધ્યાન રાખવાનું રહેશે.


સ્કૂલમાં રોજિંદી સમૂહ પ્રાર્થના તેમજ રમત ગમત અને સાંસ્કૃતિ કાર્યક્રમો આગામી સૂચના ન મળે ત્યાં સુધી બંધ રાખવાના રહેશે. એટલુ જ નહી ક્લાસરૂમમાં 50 ટકાની ક્ષમતામાં જ વિદ્યાર્થીઓને સોશલ ડિસ્ટસિંગ સાથે બેસાડવાના રહેશે.