રાજકોટ: શાસ્ત્રી મેદાનમાં આવેલા બસ સ્ટેશન પોલીસ ચોકીમાં PSIની સર્વિસ રિવોલ્વરમાંથી મિસ ફાયર થતાં રાહદારી યુવકનું મોત થયું હોવાના સમાચાર મળ્યા છે. આ ઘટનામાં જે રાહદારીનું મોત થયું છે, તેમનું નામ હિમાંશુ દિનેશભાઈ ગોહેલ હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં, તેઓ રાજકોટમાં પોલીસ ચોકીમાં ક્રિકેટની ટિકીટ આપવા આવ્યા હતા. આ સમયે પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઇ પી.પી. ચાવડા રિવોલ્વર સાફ કરી રહ્યા હતા અને મિસ ફાયર થતા ગોળી હિમાંશુભાઈને વાગી હતી અને તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટનાને પગલે લોકો ભેગા થઈ ગયા હતા. પોલીસે મૃતદેહ પીએમ માટે હોસ્પિટલ ખસેડી રિવોલ્વર કબ્જે કરી છે.


પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક અને પી.એસ.આઇ મિત્રો હોવાનું સામે આવ્યું છે. પી.એસ.આઇ ચાવડા અને મૃતક હિમાંશુ ગોહેલ મિત્ર હતા. પોલીસે સમગ્ર મામલે અકસ્માતનો ગુનો દાખલ કર્યો છે. સમગ્ર આ મામલે ડીસીપી રવિ મોહન શેનીએ જણાવ્યું હતું કે પીએસઆઇ રિવોલ્વર સાફ કરતા હતા ત્યારે ફાયરિંગ થઈ જતા એક નાગરિકનું મૃત્યુ થયું છે.. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવશે .

ઉલ્લેખનીય છે કે જો પી.એસ.આઇ પોલીસ ચોકીમાં રિવોલ્વર સર્વિસ કરતા હતા, પરંતુ શું આ રીતે પોલીસ ચોકીમાં રિવોવર સર્વિસ થઈ શકે . લોકોને ગળે ન ઊતરે તેવી ઘટના સામે આવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ વધુ તપાસ હાથ ધરી છે. આ મામલામાં પીએસઆઇ પી.પી ચાવડાની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ઘટના બનતાંની સાથે જ લોકોના ટોળેટોળા પણ ઉમટી પડ્યા હતા. આગામી દિવસોમાં વધુ તપાસ હાથ ધરી જરૂર પડ્યે અન્ય કલમ નો ઉમેરો કરાશે. મૃતક બસ સ્ટેશનથી 100 મીટર દૂર જ સ્પાનો ધંધો કરતો હતો.
નોંધનીય છે કે, આગામી 17 જાન્યુઆરીના રોજ ખંઢેરી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વન ડે મેચ રમાવાની છે. આ મેચની ટિકીટ આપવા માટે હિમાંશુભાઇ બસ સ્ટેન્ડ પોલીસ ચોકી આવ્યા હતા. આ સમયે મિસ ફાયરમાં તેમનું મોત નીપજ્યું છે. ઘટનાને લઇ ક્રાઇમ બ્રાન્ચ, ડીસીપી, એસીપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હિમાંશુભાઇ રાજકોટમાં અંકુર મેઇન રોડ પર આવેલી વૃંદાવન સોસાયટી-2માં રહેતા હતા.