Lok Sabha Election: રાજ્યમાં કેન્દ્રીય મંત્રી પરશોત્તમનો વિરોધ સતત વળી રહ્યો છે, સમગ્ર રાજ્યમાં રૂપાલાનો ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, સોશ્યલ મીડિયા પરથી હવે રૂપાલા વિવાદ જમીન પર ઉતર્યો છે, હાલમાં જ ઉપલેટમાં રૂપાલા વિરૂદ્ધમાં પૉસ્ટરો લાગ્યા હતા, જે હવે આજુબાજુના શહેરોમાં પણ લાગવા લાગ્યા છે, આજે રાજકોટ સહિત આજુબાજુના શહેરોમાં રૂપાલા હટાવો, રૂપાલાની ટિકીટ રદ્દ કરવાની માંગને લઇને પૉસ્ટર વૉર શરૂ થયું છે. 


રાજકોટમાં વાલ્મિકી સમાજના એક સ્નેહમિલન સમારોહમાં રૂપાલાએ રજવાડાંઓ અને ક્ષત્રિય સમાજની બહેનો વિરૂદ્ધમાં અભદ્ર ટિપ્પણી કરી હતી, જેનો પડઘો હવે આખા રાજ્યમાં પડી રહ્યો છે, ઠેર ઠેર રૂપાલા વિરૂદ્ધ ક્ષત્રિય સમાજ આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવી રહ્યો છે. ત્યારે આ બધાની વચ્ચે હવે રાજકોટ જિલ્લામાં પૉસ્ટર વૉર શરૂ થયુ છે. ગઇકાલે ઉપલેટામાં રૂપાલા વિરૂદ્ધ પૉસ્ટરો લાગ્યા હતા. રૂપાલાના નિવેદનથી સૌરાષ્ટ્રમાં ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત યથાવત છે, રાજકોટ સહિત આસપાસના જિલ્લામાં પૉસ્ટર વૉર શરૂ થયું છે. રૂપાલા અને ભાજપને પ્રવેશબંધીના પૉસ્ટર વાયરલ થયા છે. રાજકોટના વડાળી, વાવડી, રમતપર ગામમાં આ પૉસ્ટર વાયરલ થયા છે. જામનગરના ધ્રાફા ગામમાં ભાજપને પ્રવેશ નહીંના લાગ્યા પૉસ્ટરો લાગ્યા છે. આ ઉપરાંત વાંકાનેરના અગાભી પીપળીયા ગામમાં પણ આવા પોસ્ટર વાયરલ થયા છે. રાજકોટ ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાના ગામ વડાળીમાં પણ આવા પૉસ્ટરો લાગ્યા છે. 


શું છે રૂપાલાનો અભદ્ર ટિપ્પણીનો વિવાદ 
પરશોત્તમ રૂપાલાએ તાજેતરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકોટમાં વાલ્મિકી સમાજના એક સ્નેહમિલન સમારોહમાં સભા સંબોધી હતી. આ દરમિયાન રૂપાલાએ રજવાડાઓને લઈને વિવાદિત નિવેદન આપ્યુ હતુ. આ સભામાં તેમને કહ્યું હતુ કે, અંગ્રેજોએ દમન કરવામાં કંઈ બાકી નહોંતુ રાખ્યુ અને મહારાજાઓ નમ્યા, રાજા- મહારાજાઓએ રોટી-બેટીના વ્યવહારો કર્યા પણ મારા રૂખી સમાજે ન તો ધરમ બદલ્યો ન તો વ્યવહારો કર્યા. સૌથી વધુ દમન તેમના પર થયા હતા. આજે હજાર વર્ષે રામ એમના ભરોસે આવ્યો છે. એ સમયે તેમની તલવાર આગળ પણ નહોંતા ઝુક્યા. પરસોત્તમ રૂપાલાના આવા વિવાદિત નિવેદનો બાદ સમગ્ર ગુજરાતમાં વિરોધ ઉગ્ર બન્યો હતો.


રૂપાલા મુદ્દે મતદાન સુધી આ લડત ચાલુ રાખવા રાજવી પરિવારોનો હૂંકાર, સમાજ વિરૂદ્ધ આ ના ચલાવી લેવાય


ભાજપ નેતા પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિયો મહિલાઓના વિરૂદ્ધમાં કરવામાં આવેલી ટિપ્પણી બાદ વિરોધ શાંત નથી થઇ રહ્યો, રાજ્યમાં ઠેર ઠેર ક્ષત્રિયો મેદાનમાં ઉતર્યા છે, રાજકોટ, સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ક્ષત્રિય સંગઠન મેદાનમાં આવ્યા છે, અને પરશોત્તમ રૂપાલાની ટિકીટ પાછી ખેંચવાની ભાજપ પાસે માંગ કરી રહ્યાં છે. હવે આ કડીમાં વધુ બે રાજવી પરિવારો જોડાયા છે, ભાવનગર અને વઢવાણ રાજવી પરિવારે પણ પરશોત્તમ રૂપાલાની ટિપ્પણીનો વિરોધ કર્યો છે, અને ચૂંટણીમાં મતદાન થાય ત્યાં સુધી લડી લેવાનો સંકલ્પ કર્યો છે.


રૂપાલાના વિરોધમાં સૌરાષ્ટ્રના રાજવી પરિવારો પણ મેદાનમાં આવ્યા છે, ભાવનગર અને વઢવાણના રાજવી પરિવારોએ રૂપાલાના નિવેદનનો ખુલ્લો વિરોધ દર્શાવ્યો છે અને સમાજ વિરૂદ્ધ આવી ટિપ્પણી ના ચલાવી લેવાયનું કહ્યું છે, તેમને હવે આ લડતને આગળ લડવાનો પણ સંકલ્પ કર્યો છે. 


વઢવાણ અને ભાવનગર રાજવી પરિવારે શું કહ્યું -
રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે, રૂપાલાના નિવેદન પર હવે વઢવાણ રાજવી પરિવાર આક્રોશિત થયો છે. રાજવી પરિવારના સુધીરસિંહ ઝાલાએ આ સમગ્ર ઘટના પર આક્રોશ વ્યક્ત કર્યો છે. રૂપાલાની ટિકિટ રદ્દ ના થાય ત્યાં સુધી લડી લેવાનો સંકલ્પ કર્યો છે. સુધીરસિંહ ઝાલાએ આ વિરોધને યોગ્ય ગણાવ્યો છે. તેમને કહ્યું કે, આવા નિવેદનો કોઈપણ સંજોગોમાં ના ચલાવી લેવાય. મતદાન સુધી આ લડત ચાલુ રાખવા હૂંકાર કર્યો છે.


વઢવાણ રાજવી પરિવાર ઉપરાંત ભાવનગર રાજવી પરિવારે પણ વિરોધમાં સૂર પૂરાવ્યો છે, તેમને પણ રૂપાલાના ક્ષત્રિય મહિલાઓ વિરૂદ્ધના નિવેદનોનો વિરોધ કર્યો છે, આજે પરશોત્તમ રૂપાલાને લઈને ભાવનગરના યુવરાજનું મોટું નિવેદન સામે આવ્યું છે. ભાવનગર યુવરાજ જયવીરરાજસિંહે કહ્યું કે, હું મારા સમાજ સાથે જ છું, આ નિવેદનથી વિરોધ થવાનો જ છે. આગેવાનો માટે સમાજ પછી પક્ષ હોવો જોઇએ. યુદ્ધભુમિમાં રાજપૂતો-મહારાજાઓએ બલિદાન આપ્યા છે.