Rupala Controversy: ગુજરાતમાં ભાજપ વિરોધના વંટોળ વચ્ચે ઘેરાયેલો છે, ત્યારે હવે વધુ એક મોટુ અપડેટ સામે આવ્યુ છે. રાજકોટ બેઠક પર હવે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રૂપાલાની સાથે પ્રચારમાં જોડાયા છે. તાજા અપડેટ પ્રમાણે, અંબરિશ ડેરે રૂપાલાને મત આપવા માટે લોકોને અપીલ કરી છે, અને રાજકોટ અને અમરેલી એક જ વિસ્તાર હોવાની વાત કરી છે. અંબરિશ ડેરે રૂપાલાની સાથે ખુલીને મેદાનમાં આવ્યા છે. થોડાક સમય પહેલા જ અંબરિશ ડેર કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા હતા.    


હાલમાં સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ રૂપાલાનો પુરજોશમાં વિરોધ કરી રહ્યો છે, ક્ષત્રિય સમાજની માંગ છે કે, રૂપાલાની રાજકોટ બેઠક પરથી ભાજપ ઉમેદવારી પાછી ખેંચે, જોકે, આ અંગે ભાજપ અને ક્ષત્રિય આગેવાનોની પણ બેઠકો થઇ પરંતુ કોઇ નિષ્કર્ષ સામે આવ્યુ નહીં. હવે રૂપાલાએ રાજકોટ બેઠક માટે પ્રચાર શરૂ કરી દીધો છે. તાજા અપડેટ પ્રમાણે, વિવાદોમાં ઘેરાયેલા ભાજપ ઉમેદવાર રૂપાલાએ પ્રચંડ પ્રચાર શરૂ કરી દીધો છે, અને હવે રૂપાલાને કોંગ્રેસના પૂર્વ કાર્યકારી પ્રમુખનો સાથ પણ મળ્યો છે. રૂપાલાના પ્રચાર મેદાનમાં અંબરીશ ડેર ખુલીને ઉતર્યા છે. અમરેલીના રૂપાલાના બહારના ઉમેદવાર ના હોવાનો ડેરનો દાવો છે. રાજકોટ અને અમરેલી એક જ વિસ્તાર હોવાનો કહેવાનો ડેરનો પ્રયાસ છે. ડેરે કહ્યુ કે, રૂપાલાના હૈયે અમરેલીની જેમ જ રાજકોટનું હિત છે. ખાસ વાત છે કે, થોડા સમય પહેલા જ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. 


શું છે રૂપાલાનો અભદ્ર ટિપ્પણીનો વિવાદ 
પરશોત્તમ રૂપાલાએ તાજેતરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકોટમાં વાલ્મિકી સમાજના એક સ્નેહમિલન સમારોહમાં સભા સંબોધી હતી. આ દરમિયાન રૂપાલાએ રજવાડાઓને લઈને વિવાદિત નિવેદન આપ્યુ હતુ. આ સભામાં તેમને કહ્યું હતુ કે, અંગ્રેજોએ દમન કરવામાં કંઈ બાકી નહોંતુ રાખ્યુ અને મહારાજાઓ નમ્યા, રાજા- મહારાજાઓએ રોટી-બેટીના વ્યવહારો કર્યા પણ મારા રૂખી સમાજે ન તો ધરમ બદલ્યો ન તો વ્યવહારો કર્યા. સૌથી વધુ દમન તેમના પર થયા હતા. આજે હજાર વર્ષે રામ એમના ભરોસે આવ્યો છે. એ સમયે તેમની તલવાર આગળ પણ નહોંતા ઝુક્યા. પરસોત્તમ રૂપાલાના આવા વિવાદિત નિવેદનો બાદ સમગ્ર ગુજરાતમાં વિરોધ ઉગ્ર બન્યો હતો.


રૂપાલા મુદ્દે મતદાન સુધી આ લડત ચાલુ રાખવા રાજવી પરિવારોનો હૂંકાર, સમાજ વિરૂદ્ધ આ ના ચલાવી લેવાય


ભાજપ નેતા પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિયો મહિલાઓના વિરૂદ્ધમાં કરવામાં આવેલી ટિપ્પણી બાદ વિરોધ શાંત નથી થઇ રહ્યો, રાજ્યમાં ઠેર ઠેર ક્ષત્રિયો મેદાનમાં ઉતર્યા છે, રાજકોટ, સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ક્ષત્રિય સંગઠન મેદાનમાં આવ્યા છે, અને પરશોત્તમ રૂપાલાની ટિકીટ પાછી ખેંચવાની ભાજપ પાસે માંગ કરી રહ્યાં છે. હવે આ કડીમાં વધુ બે રાજવી પરિવારો જોડાયા છે, ભાવનગર અને વઢવાણ રાજવી પરિવારે પણ પરશોત્તમ રૂપાલાની ટિપ્પણીનો વિરોધ કર્યો છે, અને ચૂંટણીમાં મતદાન થાય ત્યાં સુધી લડી લેવાનો સંકલ્પ કર્યો છે.


રૂપાલાના વિરોધમાં સૌરાષ્ટ્રના રાજવી પરિવારો પણ મેદાનમાં આવ્યા છે, ભાવનગર અને વઢવાણના રાજવી પરિવારોએ રૂપાલાના નિવેદનનો ખુલ્લો વિરોધ દર્શાવ્યો છે અને સમાજ વિરૂદ્ધ આવી ટિપ્પણી ના ચલાવી લેવાયનું કહ્યું છે, તેમને હવે આ લડતને આગળ લડવાનો પણ સંકલ્પ કર્યો છે. 


વઢવાણ અને ભાવનગર રાજવી પરિવારે શું કહ્યું -
રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે, રૂપાલાના નિવેદન પર હવે વઢવાણ રાજવી પરિવાર આક્રોશિત થયો છે. રાજવી પરિવારના સુધીરસિંહ ઝાલાએ આ સમગ્ર ઘટના પર આક્રોશ વ્યક્ત કર્યો છે. રૂપાલાની ટિકિટ રદ્દ ના થાય ત્યાં સુધી લડી લેવાનો સંકલ્પ કર્યો છે. સુધીરસિંહ ઝાલાએ આ વિરોધને યોગ્ય ગણાવ્યો છે. તેમને કહ્યું કે, આવા નિવેદનો કોઈપણ સંજોગોમાં ના ચલાવી લેવાય. મતદાન સુધી આ લડત ચાલુ રાખવા હૂંકાર કર્યો છે.


વઢવાણ રાજવી પરિવાર ઉપરાંત ભાવનગર રાજવી પરિવારે પણ વિરોધમાં સૂર પૂરાવ્યો છે, તેમને પણ રૂપાલાના ક્ષત્રિય મહિલાઓ વિરૂદ્ધના નિવેદનોનો વિરોધ કર્યો છે, આજે પરશોત્તમ રૂપાલાને લઈને ભાવનગરના યુવરાજનું મોટું નિવેદન સામે આવ્યું છે. ભાવનગર યુવરાજ જયવીરરાજસિંહે કહ્યું કે, હું મારા સમાજ સાથે જ છું, આ નિવેદનથી વિરોધ થવાનો જ છે. આગેવાનો માટે સમાજ પછી પક્ષ હોવો જોઇએ. યુદ્ધભુમિમાં રાજપૂતો-મહારાજાઓએ બલિદાન આપ્યા છે.