Loksabha: રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાને લઇને વિવાદ સતત વધી રહ્યો છે, ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકીટને રદ્દ કરવાની માંગ પર અડ્યો છે, ત્યારે હવે વધુ એક મોટુ અપડેટ સામે આવ્યુ છે. રૂપાલાએ રાજકોટમાં પોતાની દાવેદારી પાક્કી કરી લીધી છે અને ઉમેદવારી પત્રક ભરવાનું એલાન કર્યુ છે. તાજા રિપોર્ટ અનુસાર રૂપાલા આગામી દિવસોમાં એક બે દિવસોમાં પોતાનું ઉમેદવારી પત્રક ભરશે, તે નક્કી થઇ ચૂક્યુ છે. 


ક્ષત્રિય સમાજ અને રૂપાલા વચ્ચે ચાલી રહેલો ગજગ્રાહ હજુ શાંત પડ્યો નથી, એકબાજુ ક્ષત્રિય સમાજ રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચવાની માંગ પર અડ્યો છે, તો સામે રૂપાલા કે બીજેપી પીછેહઠ કરવા તૈયાર નથી. આવામાં હવે રૂપાલાએ વધુ એક મોટુ એલાન કરીને રાજકીય માહોલ ગરમ કર્ય છે. હાલમાં જ રાજકોટ બેઠક પરથી જ ઉમેદવારી કરવાનું પરશોત્તમ રૂપાલાએ એલાન કર્યુ છે. ઉમેદવારી પત્રક ભરવાની તારીખ બે દિવસમાં નક્કી થઈ જશે, અને ત્યારબાદ ઉમેદવારી પત્રક ભરાશે, એટલું જ નહીં ઉમેદવારીના દિવસે રૂપાલાએ જબરદસ્ત સમર્થનના સંકેતો પણ આપ્યા છે. ઉમેદવારીના દિવસે તમામને પાઘડી પહેરી આવવાનું રૂપાલાએ આહવાન કર્યુ છે. ખાસ વાત છે કે, હાઈકમાન્ડથી ક્લિનચીટ મળ્યા બાદ રૂપાલા આત્મવિશ્વાસથી ભરપૂર છે, તેમને હાલમાં આશાપુરા માતાજીના દર્શન કરીને પ્રચાર પણ શરૂ કરી દીધો છે. રાજકોટ બેઠકના અલગ-અલગ વિસ્તારોમાં જઈ રૂપાલા અત્યારે પ્રચંડ પ્રચાર કરી રહ્યાં છે. 


શું છે રૂપાલાનો અભદ્ર ટિપ્પણીનો વિવાદ 
પરશોત્તમ રૂપાલાએ તાજેતરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકોટમાં વાલ્મિકી સમાજના એક સ્નેહમિલન સમારોહમાં સભા સંબોધી હતી. આ દરમિયાન રૂપાલાએ રજવાડાઓને લઈને વિવાદિત નિવેદન આપ્યુ હતુ. આ સભામાં તેમને કહ્યું હતુ કે, અંગ્રેજોએ દમન કરવામાં કંઈ બાકી નહોંતુ રાખ્યુ અને મહારાજાઓ નમ્યા, રાજા- મહારાજાઓએ રોટી-બેટીના વ્યવહારો કર્યા પણ મારા રૂખી સમાજે ન તો ધરમ બદલ્યો ન તો વ્યવહારો કર્યા. સૌથી વધુ દમન તેમના પર થયા હતા. આજે હજાર વર્ષે રામ એમના ભરોસે આવ્યો છે. એ સમયે તેમની તલવાર આગળ પણ નહોંતા ઝુક્યા. પરસોત્તમ રૂપાલાના આવા વિવાદિત નિવેદનો બાદ સમગ્ર ગુજરાતમાં વિરોધ ઉગ્ર બન્યો હતો.


રૂપાલા મુદ્દે મતદાન સુધી આ લડત ચાલુ રાખવા રાજવી પરિવારોનો હૂંકાર, સમાજ વિરૂદ્ધ આ ના ચલાવી લેવાય


ભાજપ નેતા પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિયો મહિલાઓના વિરૂદ્ધમાં કરવામાં આવેલી ટિપ્પણી બાદ વિરોધ શાંત નથી થઇ રહ્યો, રાજ્યમાં ઠેર ઠેર ક્ષત્રિયો મેદાનમાં ઉતર્યા છે, રાજકોટ, સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ક્ષત્રિય સંગઠન મેદાનમાં આવ્યા છે, અને પરશોત્તમ રૂપાલાની ટિકીટ પાછી ખેંચવાની ભાજપ પાસે માંગ કરી રહ્યાં છે. હવે આ કડીમાં વધુ બે રાજવી પરિવારો જોડાયા છે, ભાવનગર અને વઢવાણ રાજવી પરિવારે પણ પરશોત્તમ રૂપાલાની ટિપ્પણીનો વિરોધ કર્યો છે, અને ચૂંટણીમાં મતદાન થાય ત્યાં સુધી લડી લેવાનો સંકલ્પ કર્યો છે.


રૂપાલાના વિરોધમાં સૌરાષ્ટ્રના રાજવી પરિવારો પણ મેદાનમાં આવ્યા છે, ભાવનગર અને વઢવાણના રાજવી પરિવારોએ રૂપાલાના નિવેદનનો ખુલ્લો વિરોધ દર્શાવ્યો છે અને સમાજ વિરૂદ્ધ આવી ટિપ્પણી ના ચલાવી લેવાયનું કહ્યું છે, તેમને હવે આ લડતને આગળ લડવાનો પણ સંકલ્પ કર્યો છે. 


વઢવાણ અને ભાવનગર રાજવી પરિવારે શું કહ્યું -
રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે, રૂપાલાના નિવેદન પર હવે વઢવાણ રાજવી પરિવાર આક્રોશિત થયો છે. રાજવી પરિવારના સુધીરસિંહ ઝાલાએ આ સમગ્ર ઘટના પર આક્રોશ વ્યક્ત કર્યો છે. રૂપાલાની ટિકિટ રદ્દ ના થાય ત્યાં સુધી લડી લેવાનો સંકલ્પ કર્યો છે. સુધીરસિંહ ઝાલાએ આ વિરોધને યોગ્ય ગણાવ્યો છે. તેમને કહ્યું કે, આવા નિવેદનો કોઈપણ સંજોગોમાં ના ચલાવી લેવાય. મતદાન સુધી આ લડત ચાલુ રાખવા હૂંકાર કર્યો છે.


વઢવાણ રાજવી પરિવાર ઉપરાંત ભાવનગર રાજવી પરિવારે પણ વિરોધમાં સૂર પૂરાવ્યો છે, તેમને પણ રૂપાલાના ક્ષત્રિય મહિલાઓ વિરૂદ્ધના નિવેદનોનો વિરોધ કર્યો છે, આજે પરશોત્તમ રૂપાલાને લઈને ભાવનગરના યુવરાજનું મોટું નિવેદન સામે આવ્યું છે. ભાવનગર યુવરાજ જયવીરરાજસિંહે કહ્યું કે, હું મારા સમાજ સાથે જ છું, આ નિવેદનથી વિરોધ થવાનો જ છે. આગેવાનો માટે સમાજ પછી પક્ષ હોવો જોઇએ. યુદ્ધભુમિમાં રાજપૂતો-મહારાજાઓએ બલિદાન આપ્યા છે.