Rajkot: આ વર્ષે રાજકોટમાં ગણેશોત્સવમાં 9 ફૂટ કરતા ઊંચી ગણપતિની મૂર્તિના સ્થાપન પર પ્રતિબંધ લગાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ મામલે હવે ગણપતિની નવ ફૂટ કરતા ઊંચી મૂર્તિઓ બનાવનાર મૂર્તિકાર સામે ગુનો નોંધાયો છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં બાલભવનની અંદર 9 ફૂટ કરતા ઊંચી મૂર્તિ બનાવતા મૂર્તિકાર સામે કાર્યવાહી કરવામાં આવી છે.

Continues below advertisement


જાહેરનામાની અમલવારી થાય તે માટે ચેકિંગ દરમિયાન 9 ફૂટ કરતા ઊંચી મૂર્તિઓ બનાવતા હોવાનું સામે આવ્યું હતું. ચેકિંગ દરમિયાન 9 ફૂટ કરતા વધુ ઊંચાઈની સાત મૂર્તિ જોવા મળતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે. આ મામલે પ્રદીપ પ્રાણ કૃષ્ણપાલ વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે. જાહેરનામું એક મહિના પહેલા બહાર પાડવામાં આવ્યું જો કે આ મૂર્તિઓ છેલ્લા ત્રણ મહિનાથી બની રહી છે.


નોંધનીય છે કે, આ વર્ષે ગણેશ મહોત્સવનો પ્રારંભ 18 સપ્ટેમ્બરથી થવાનો છે. જેને લઇને પહેલાથી જ તૈયારીઓ શરૂ થઈ જાય છે. આ પહેલા ગણેશ મહોત્સવને અનુલક્ષીને રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડ્યું હતું. જે મુજબ
9 ફૂટ કરતા ઊંચી ગણપતિની મૂર્તિ રાખવાની મનાઈ ફરમાવવામાં આવી છે. સાથે જ પ્લાસ્ટિક ઓફ પેરિસની મૂર્તિ બનાવવા, વેચવા કે સ્થાપના કરવા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 9 ફૂટ કરતા વધુ ઊંચાઈની મૂર્તિનું સ્થાપન કે વેચાણ પણ કરી શકાશે નહીં. ગણેશ વિસર્જન નક્કી કરાયેલા સ્થળો સિવાય અન્ય કોઈ જગ્યાએ કરી શકાશે નહીં. ગણેશ પંડાલોમાં સીસીટીવી તેમજ ફાયરના સાધનો ફરજિયાત રાખવા આદેશ આપવામાં આવ્યા છે.  


ગણેશ સ્થાપન માટે શુભ સમય


ગણેશ ચતુર્થીના દિવસે શુભ મુહૂર્તમાં ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવાથી શુભ ફળ મળે છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. એટલા માટે તમારે પણ ગણેશની સ્થાપના કરતી વખતે શુભ સમયનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તમને જણાવી દઈએ કે આ વર્ષે ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવાનો શુભ સમય 19 સપ્ટેમ્બર, 2023ના રોજ સવારે 11:07 થી 19:34 સુધીનો રહેશે. આ મુહૂર્તમાં તમે તમારા ઘરમાં ગણપતિ બાપ્પાનું સ્વાગત પણ કરી શકો છો.


ગણેશ ચતુર્થીનું મહત્વ


ગણેશને બુદ્ધિ અને વિવેકના દેવતા માનવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે ઘરમાં ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે અને 10 દિવસ સુધી વિધિ-વિધાન સાથે તેમની પૂજા કરવામાં આવે છે. આવા ઘરોમાં ગણેશજીની કૃપા હંમેશા બની રહે છે અને વ્યક્તિના જીવનમાં આવતી તમામ બાધાઓ દૂર થઈ જાય છે. તેની સાથે જ સુખ-સમૃદ્ધિ અને સફળતાની પ્રાપ્તિ થાય છે.