સુરત: દશેરાના તહેવારને લઈ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ફાફડા-જલેબીના વેપારીઓના ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરી દુકાનદારો પાસેથી સેમ્પલો લેવામાં આવ્યા હતા. આ સાથે જ વેપારીઓને ત્યાંથી તેલની ચકાસણી કરી ઘીના પણ સેમ્પલો લેવાયા હતા. જે તમામ સેમ્પલો તપાસ અર્થે પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે. જે સેમ્પલોનો રિપોર્ટ આવ્યા બાદ કસુરવાર વેપારીઓ સામે ફૂડ એજ્યુકેટિંગ એકટ હેઠળ કાર્યવાહીની તૈયારી પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે.




દશેરાના  તહેવારને ધ્યાનમાં લઇ ફાફડા જલેબીનો સ્ટોક કરવામાં આવી રહ્યો છે. જ્યાં વેપારીઓ દ્વારા તૈયાર કરવામાં આવી રહેલા ફાફડા જલેબી કેટલા આરોગ્યપ્રદ છે તે અંગેની તપાસ પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા હાથ કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગની અલગ અલગ ટીમો દ્વારા શહેરના નવ ઝોનમાં આવેલા ફરસાણના વેપારીઓના ત્યાં સવારથી દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 


પાલિકાની ટીમો દ્વારા વેપારીઓના ત્યાંથી ફાફડા જલેબીના સેમ્પલો લઈ તપાસ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સેમ્પલોનો રિપોર્ટ 14 દિવસ અથવા અઠવાડિયામાં આવે તેવી શકયતા છે. જે સેમ્પલો ફેઈલ જણાશે તો કસૂરવાર વેપારીઓ સામે ફૂડ એડજ્યુકેટીંગ એકટ હેઠળ કાર્યવાહી કરવાની તૈયારી પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે. 


ટેસ્ટો મીટર દ્વારા તેલની ચકાસણી કરવામાં આવી 


આ સાથે પાલિકાની ટીમો દ્વારા શહેરના ફરસાણના વેપારીઓના ત્યાંથી ટેસ્ટો મીટર દ્વારા તેલની ચકાસણી પણ કરવામાં આવી છે. જ્યારે જલેબીમાં વપરાતા ઘીના સેમ્પલો પર લેવામાં આવ્યા છે. સૌથી મહત્વની બાબતે બનીને સામે આવી છે કે, જે સેમ્પલો લેવામાં આવ્યા છે. તેનો રિપોર્ટ 14 દિવસ અથવા તો અઠવાડિયામાં આવે તેવી શક્યતા રહેલી છે. પરંતુ રિપોર્ટ આવે તે પહેલા તો સુરતીઓ લાખો- કરોડોની ફાફડા જલેબીની જ્યાફત માણી જવાના છે. જેથી સુરતીઓને ખ્યાલ પણ ના હશે કે જે ફાફડા-જલેબી તેઓ આરોગી ગયા છે તે કેટલા આરોગ્યપ્રદ છે કે બિન આરોગ્યપ્રદ તેવા સવાલ ચોક્કસથી ઉઠી રહ્યા છે.
  


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial